31 ડિસેંબર સુધી વર્ક ફ્રોમ હોમ અમલમાં, કેન્દ્ર સરકારે સમય મર્યાદા વધારી

– કોરોના જલદી વિદાય લે એેવું લાગતું નથી

 

કેન્દ્ર સરકારે વર્ક ફ્રોમ હોમની સમયમર્યાદા કેટલીક કંપનીઓ માટે વધારીને ડિસેંબરની 31મી સુધી રાખવાની જાહેરાત કરી હતી. દૂરસંચાર (ટેલિકોમ્યુનિકેશન) વિભાગે તો આ બાબતની ઔપચારિક જાહેરાત પણ કરી દીધી હતી.

અત્યારે આઇટી કંપનીઓના 90 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. એની સમયમર્યાદા જુલાઇની એટલે કે ચાલુ માસની 31મી સુધીની હતી. કેન્દ્ર સરકારે હવે એ સમયમર્યાદા ડિસેંબરની 31 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. નેસકોમની અધ્યક્ષા દેબજાની ઘોષે આ નિર્ણયને આવકારતાં કહ્યું, ‘આ નિર્ણયથી વેપાર ધંધા ચાલુ રહેશે અને કર્મચારીઓ પણ સુરક્ષિત રહેશે. સાથોસાથ કંપનીઓને દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરોમાં સારા કર્મચારીઓ શોધવામાં અનુકૂળતા રહેશે.’

આઇટી, બીપીઓ સેક્ટર અને અન્ય સેવા આપતી કંપનીઓ માટે આ સમયમર્યાદા લાગુ પાડવામાં આવી રહી છે એમ એક પ્રવક્તાએ કહ્યું હતું.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોડી રાત્રે કરેલી ટ્વીટમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અને લોકોમાં પ્રવર્તતી ચિંતાને સમજીને ટેલિકોમ્યુનિકેશન વિભાગે વર્ક ફ્રોમ હોમની સમયમર્યાદા જુલાઇની 31મીથી વધારીને ડિસેંબરની 31 સુધી લંબાવી હતી. અત્યારે 85 ટકાથી વધુ આઇટી કર્મચારીઓ ઘેરથી કામ કરી રહ્યા છે. માત્ર અત્યંત મહત્ત્વના અને અનિવાર્ય ગણાય એવા કર્મચારીઓ જ કાર્યાલયમાં જાય છે.

અત્રે એ યાદ રહે કે બુધવાર 22 જુલાઇની રાત સુધીમાં કોરોનાના કેસ વધીને 11 લાખ 55 હજારના આંકડાને વટાવી ચૂક્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 28,084 લોકો મરણ પામ્યા હતા.

જીવનજરૂરી સેવા કહેવાય એવી સેવાઓ જેવી કે પોલીસ, મિડિયા, તબીબી સ્ટાફ, મેડિકલ સ્ટોર્સ વગેરેને આ નિયમ લાગુ પડતો નથી. જીવન જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોએ તો કોરોનાના ચેપ વચ્ચે પણ કામ  કર્યે છૂટકો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.