8 વર્ષ બાદ શહબાઝ શરીફે PM મોદીને બોલાવ્યાં પાકિસ્તાન, આપ્યું આમંત્રણ, જાણો કારણ..

PM Modi Invitation Latest News : છેલ્લા 8 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ભારતના વડાપ્રધાનને પાકિસ્તાન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું, સમગ્ર વિશ્વની નજર તેના પર છે કે શું તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે ?

PM Modi Invitation : પાડોશી દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીને પાકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. શાહબાઝ શરીફે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના અન્ય નેતાઓ સાથે PM મોદીને આમંત્રણ આપ્યું છે. વિગતો મુજબ કાઉન્સિલ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં હાજરી આપવા માટે આ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, CHGની બેઠક 15 અને 16 ઓક્ટોબરે યોજાવાની છે. છેલ્લા 8 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ભારતના વડાપ્રધાનને પાકિસ્તાન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાનના આમંત્રણ બાદ હવે સમગ્ર વિશ્વની નજર તેના પર છે કે શું તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે કે પછી તેમના સ્થાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા કોઈ મંત્રીને ઈસ્લામાબાદ મોકલશે. અહીં એ ખાસ નોંધવું રહ્યું છે હાલમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.

કાઉન્સિલ ઓફ ગવર્નમેન્ટ એટલે કે CHG મીટિંગ ‘કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ’ પછી બીજી સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી સંસ્થા છે જે 15 અને 16 ઓક્ટોબરે યોજાવાની છે. સામાન્ય રીતે PM મોદી રાજ્યોના વડાઓની સમિટમાં ભાગ લેતા હોય છે પરંતુ આ વર્ષે જુલાઈ મહિનામાં સંસદના સત્ર દરમિયાન તારીખોના વિવાદને કારણે તેઓ કઝાકિસ્તાન ગયા ન હતા. તે સમયે વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવ્યા હતા.

તો શું બેઠકમાં ગેરહાજર નેતાઓ વર્ચ્યુઅલી જોડાશે ?

આ તરફ હવે પાકિસ્તાનમાં યોજાનારી CHGની બેઠકમાં હજુ સુધી એ નિર્ણય લેવામાં આવ્યો નથી કે જે નેતાઓ હાજર નહીં રહી શકે તેઓને આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે સામેલ કરવામાં આવશે કે નહીં. મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન બંને SCOના પૂર્ણ સભ્ય છે. આ સંગઠનનું નેતૃત્વ ચીન અને રશિયા કરે છે તેથી ભારત તેના વિશે ખૂબ જ સાવચેત રહે છે. ભારત ઈચ્છે છે કે, આ સંગઠનમાં ચીનનો પ્રભાવ ન વધે જો આવું થાય તો તે પશ્ચિમ વિરોધી સંગઠનનું રૂપ લઈ શકે છે.

જાણો ભારત દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે તેમ છતાં કેટલાક મુદ્દાઓ એવા છે કે જ્યાં ભારત અને પાકિસ્તાન સહયોગ કરવામાં સફળ રહ્યા છે. પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વર્ષ 2023માં ભારતની અંદર યોજાયેલી SCOની બેઠકમાં ભાગ લીધો હતો. હાલમાં આ વખતે ભારત તરફથી CHG બેઠકમાં કોણ હાજરી આપશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.