ચીનમાં નજરકેદ કરાયેલા મુસ્લિમોની હાલત ખરાબ, પાકિસ્તાન કાશ્મીરથી વધારે તેમની ચિંતા કરેઃઅમેરિકા

ન્યૂયોર્કઃ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ અકળાયેલા પાકિસ્તાનને જવાબ આપતા અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયામામલાના મંત્રી એલસી જી વેલ્સે કહ્યું કે, ચીનમાં મુસ્લિમોની પરિસ્થિતી વધારે ખરાબ છે. તેમણે શિબિર કેન્દ્રોમાં નજરકેદ રાખવામાં આવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન આ અંગે કોઈ ચિંતા વ્યક્ત કરતું નથી. વેલ્સે કહ્યું કે, પાકિસ્તાને આ મામલા પર વધારે ચિંતા કરવી જોઈએ, કારણ કે ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન વધારે થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન છેલ્લા બે સપ્તાહથી કાશ્મીરમાં મુસ્લિમોના માનવાધિકાર ઉલ્લંઘન મામલે ખોટા નિવેદનો આપી રહ્યું છે.

વેલ્સે વધુમાં કહ્યું કે, ટ્રમ્પે પ્રશાસને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીન દ્વારા મુસ્લિમોને નજરબંધ શિબિરોમાં ભયાનક પરિસ્થિતીના મામલાને ઉઠાવ્યો છે. મુસ્લિમો માટે આવી પરિસ્થિતી આખા ચીનમાં છે. અમે આગળ પણ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનું ચાલું જ રાખશું.

ઈમરાન ઘણા આતંરરાષ્ટ્રીય મંચ પરથી કાશ્મીર મુદ્દો ઉઠાવી ચુક્યા છે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સાથે સાથે અન્ય મંચ પરથી પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે. પરંતુ તેમણે એક પણ જગ્યાએ સફળતા મળી નથી. તાજેતરમાં UN મહાસભામાં ઈમરાને પોતે સ્વીકારી લીધું હતું કે, તે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. ઈમરાને કહ્યું હતું કે, તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયથી મામલાને ગંભીરતાથી ન લેવા માટે નારાજ છે.

ફક્ત ચીન પાકિસ્તાનના પડખે ઊભું રહેવા તૈયાર થયું

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે ફક્ત ચીને જ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. UNમાં બંધ ઓરડામાં કાશ્મીર મુદ્દે વાદ વિવાદ કરાવવા માટે ચીને જ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. જો કે, તેના પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં હતા. 57 દેશોના ઈસ્લામિક કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન(IOC)એ પણ પાકિસ્તાનનો સાથ ન આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.