ખંભાતમાં ત્રીજા દિવસે પણ સ્થિતિ ખરાબ, CM રૂપાણી અને પ્રદિપસિંહ વચ્ચે બેઠક

ખંભાતમાં થયેલ કોમી રમખાણો બાદ હજુ પણ શહેરમાં અંજપાભરી પરિસ્થિતિનો માહોલ છે. સોમવારે મોડી સાંજે શહેરની મીરાસૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમ્યાન ટોળાએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી. તો આ મામલે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવ્યો હતો. ખંભાતમાં થયેલ રમખાણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ મામલે સીએમ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

તો પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ખંભાતમાં ઉતારી દેવામાં આવી હતી. પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કર્યું હતું. તો ત્રીજા દિવસે પણ કેટલીય જગ્યાઓએ આગજનીના બનાવો બન્યા હતા. તો ખંભાતના તમામ સ્કૂલ-કોલેજો અને બજારો બંધ રહ્યા હતા.

તો ખંભાતમાં કોમી રમખાણના પડઘા ગાંધીનગરમાં પણ પડ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. અને બેઠકમાં ખંભાતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેનાં જરૂરી પગલાં લેવા માટે પણ તેઓએ સૂચના આપી હતી.

ખંભાતના અકબરપુર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કોમી દંગલ ફાટી નીકળ્યા હતા. રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરાઈ હતી. સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં SOGના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ થયા હતા. તો ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.