બોર્ડ પરીક્ષા સમયે કોઈ ગામમાં કોઈ લગ્ન નહિ થાય…’ નર્મદા જિલ્લાના 72 ગામોએ લીધો મહત્વનો નિર્ણય

નર્મદા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે અને તેમાં પણ આદિવાસી વિસ્તારમાં તો ખૂબ નીચું પરિણામ આવતા સ્થાનિક આગેવાનોએ તેની શોધ લગાવી હતી. એક તરણ એવું આવ્યું કે, તડવી સમાજમાં બોર્ડની પરીક્ષાઓના મહિનાઓમાં લગ્ન થતા હોય છે અને જેને કારણે બાળકો પરીક્ષામાં ધ્યાન આપી શકતા નથી અને લગ્ન મ્હાલવાનું પસંદ કરે છે. જેથી આ દિવસોમાં જો લગ્ન જ થાય નહિ અને બેન્ડબાજા કે ડીજે વાગે જ નહિ તો વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી ભણી શકે. આ નિર્ણય ગત વર્ષે લેવાયો અને આ વર્ષે એક પણ કુટુંબમાં લગ્નો ગોઠવાયા નથી. એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે. જેમાં ધોરણ 10 અને 12માં નાપાસ થવાનો રેશિયો પણ વધુ છે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં ધ્યાન આપતા નથી અને એક બે ટ્રાયલ મારે અને પછી ભણવાનું છોડી દે છે. અથવા મજૂરી કામે કે કોઈ બીજા કામે લાગી જાય. એટલે જો લગ્નોનું આયોજન પરીક્ષાઓ પછી ગોઠવાય એવા ગ્રામસભામાં સામાજિક ઠરાવો કરી જાહેરાતો કરાઈ હતી. તેથી આ વર્ષે માર્ચ અને એપ્રિલ માસમાં કોઈ લગ્નો રાખવામાં આવ્યા નહિ. સમાજે એક નવો ચીલો શરુ કર્યો છે. ગરુડેશ્વર તાલુકાના નર્મદા ડેમની આજુબાજુના ગામોના રહીશોએ એક સામાજિક બેઠક કરીને નક્કી કર્યું હતું કે, અત્યાર સુધી આપણે લગ્ન મુહૂર્ત પરીક્ષાઓમાં જ કાઢતા પોતાના ઘરમાં બોર્ડમાં ભણતો દીકરો કે દીકરી હોવા છતાં લગ્નો કરતા, પણ હવે એ વાત બદલી પરીક્ષામાં કોઈએ લગ્ન મુહર્ત કાઢવા નહિ. ગ્રામપંચાયતોએ ઠરાવો પણ કર્યા, જેનાથી આજે એક ક્રાંતિ આવી. આ વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા કે પરીક્ષાના દિવસો દરમ્યાન કોઈએ લગ્ન ગોઠવ્યા નથી. એક મહિના પહેલા જ સમાજમાં જાણ કરી સમાજે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે વેકેશનમાં જ લગ્ન ગોઠવાશેનો સંકલ્પ પણ કર્યો છે અને તેનાથી જ શિક્ષણનું સ્તર ઊંચું આવશે એમ આગેવાનો માની પણ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.