ઇરાની નેતા અયાતુલ્લા અલી ખોમૈનીનું નિવેદન- મુસલમાનો પર હિંસા રોકે ભારત નહીં તો‌ અંજામ થશે ખરાબ

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમૈનીએ ગુરુવારે ભારત સરકારને કટ્ટરપંથી હિન્દુઓ અને તેમની પાર્ટીને રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત મુસલમાનો પર હિંસા રોકે નહીં તો ઈસ્લામિક જગતથી અલગ પડી જશે. હાલમાં જ દિલ્હીમાં થયેલી હિંસાથી દુનિયાભરના મુસલમાનો દુ:ખી છે. નવી દિલ્હીમાં રાજદૂત અલી ચેગેનીને ભારત દ્વારા સમન્સ પાઠવીને દિલ્હી હિંસા પર વિદેશ મંત્રી જવાદ ઝરીફની ટિપ્પણીઓને લઈને સખત વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બે દિવસો પછી ખોમૈનીએ આ નિવેદન આપ્યું છે. ખોમૈનીએ ટ્વીટ કર્યું હતું કે, ‘ભારતમાં મુસલમાનોના નરસંહારથી દુનિયાભરના મુસલમાનો દુ:ખી છે. ભારત સરકારે હિન્દુ કટ્ટરપંથી અને તેમની પાર્ટીને રોકવી જોઇએ તેમજ ઈસ્લામિક જગતથી ભારતને અલગ પડવાથી બચાવવા મુસલમાનોના નરસંહારને રોકવો જોઇએ.

ઈરાની સુરક્ષા અને વિદેશ નીતિઓ સંબંધિત નિર્ણયો લેનારા ખોમૈનીએ અંગ્રેજી, ઉર્દૂ, ફારસી અને અરબીમાં ટ્વીટ કર્યું હતું. સાથે એક બાળકનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જે દિલ્હીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા એક શવને જોઇને રડે છે. ઉલ્લેખનીય છે કે ઝરીફે સોમવારે ટ્વીટ કર્યું હતું કે, ‘ભારતીય મુસલમાનો વિરુદ્વ સંગઠિતરૂપથી કરવામાં આવેલી હિંસાની ઈરાન નિંદા કરે છે. સદીઓથી ઈરાન ભારતનું મિત્ર છે અમે ભારતીય અધિકારીઓને આગ્રહ કરીએ છીએ કે તેઓ બધા ભારતીયોની સુરક્ષા સુનિશ્વિત કરે અને નિરર્થક હિંસા ફેલાતા રોકે. આગળ વધવાનો માર્ગ સંવાદ અને કાયદાકીય પાલન કરવાથી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.