કાબુલમાં આતંકવાદી હુમલામા 32 મોત, US-તાલિબાન સમજૂતી બાદનો આ સૌથી મોટો હુમલો,ભારતે કરી આકરી ટીકા

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે આંતકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે અને 61 ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન IS દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. એક વર્ષ અગાઉ હિજ્બ-એ-વહદતના નેતા અબ્દુલ અલી મજારીનું અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી એક જાહેરસભામાં આ હુમલો થયો હતો. બે બંદુકધારી આતંકવાદીએ લોકો પર ગોળીઓ છોડવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ બન્ને હુમલાખોરોને ઠાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી થયા બાદનો આ સૌથી મોટો હુમલો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ હુમલાની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે આ હુમલો અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય એકતા અને માનવતા પર પ્રહાર છે.

ભારતે કાબુલમાં થયેલા આ હુમલાની આકરી ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદ સામે લડવા માટે એકજુટ થવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ હુમલાની ટીકા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.