આર્થિક સંકટમાં ફસાયેલી દેશની પાંચમા ક્રમની ખાનગી બેન્ક યસ બેન્કને ઉગારવા સરકાર અને રિઝર્વ બેન્કે રેસ્ક્યૂ પ્લાન તૈયાર કરી દડો ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પાલામાં નાખી દીધો છે. પરંતુ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ નોમુરાએ ચેતવણી ઉચ્ચારી છે કે, સરકાર દ્વારા વારંવાર લેવાઈ રહેલા રાહતના પગલાં ભારતની ફાઇનાન્શિયલ સિસ્ટમમાં વ્યાપક ક્રેડિટ રિસ્કના લક્ષણોના સંકેત આપે છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, અમને યસ બેન્કની પુનઃરચના માટેની યોજનાનો મુસદ્દો મળી ગયો છે. અમારી લીગલ ટીમ તેનું મૂલ્યાંકન કરી રહી છે. એસબીઆઇએ યસ બેન્કમાં મૂડીરોકાણ માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. અમે સ્ટોક એક્સ્ચેન્જ દ્વારા માહિતી આપી છે કે એસબીઆઇના બોર્ડે યસ બેન્કમાં ૪૯ ટકા સુધીનો હિસ્સો ખરીદવાની સંભાવના ચકાસવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ઇન્વેસ્ટમેન્ટ ટીમ યસ બેન્કની બેલેન્સશીટની ચકાસણી કરી રહી છે. અમે ૯મી માર્ચે ભારતીય રિઝર્વ બેન્કને રિસ્ટ્રક્ચરિંગ પ્લાન આપી દઈશું.
રજનીશ કુમારે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે આપેલી એક મહિનાની ડેડલાઇન પહેલાં એસબીઆઇની યોજના અમલી બની જશે. રોકાણકારોએ તેમના નાણાંની ચિંતા કરવી જોઈએ નહીં. મહત્તમ રૂપિયા ૫૦,૦૦૦ના ઉપાડની મર્યાદા તબક્કાવાર વધારવામાં આવશે. યસ બેન્કના કર્મચારીઓ સારી અને યોગ્ય લાયકાત ધરાવે છે. દરિમયાન શનિવારે પણ યસ બેન્કના એટીએમ પર દેશભરમાં લાંબી કતારો જોવા મળી હતી. યસ બેન્કની નેટ બેન્કિંગ સુવિધાઓ પણ ઠપ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.