સ્ત્રી સશકિતકરણની વાતો તો બહુ થાય છે પણ વાસ્તવિકતા શું છે?

ભાતભાતનાં દિન શિક્ષકદિન, બાળદિન, યોગદિન, સ્ત્રી દિનની ઉજવણી મોટાભાગે નરી ઢોંગબાજી હોય છે તાજેતરમાં વિશ્વ નારી દિનને ઉજવણી થયા પછી યુનોની બે સંસ્થાઓ યુનીસેફ અને માનવ વિકાસ મોજણી સંસ્થા તરફથી બહાર પાડવામાં આવેલા હેવાલો આ હકીકતનું સમર્થન કરે છે. નારી સમાનતા અને સ્ત્રી શકિતકરણની લાંબીચોડી વાતો થયા કરે છે. પણ વાસ્તવિકતા તદ્દન જુદી છે. પુરુષોનાં વિશિષ્ઠ કાર્યક્ષેત્ર ગણાતા અનેક ક્ષેત્રો શિક્ષણ, નોકરી ધંધા, પોલીસ અને સંરક્ષણ અવકાશ અને વિજ્ઞાન જેવા કાર્યક્ષેત્રોમાં અનેક સ્ત્રીઓએ પોતાની આવડત પુરવાર કરી બતાવી છે. વિશ્વના રાજકારણમાં પણ સ્ત્રીઓએ સર્વોચ્ચ હોદ્દા પોતાની શકતીથી મેળવ્યા છે અને શોભાવ્યા છે પણ આ બધું અપવાદરૂપ છે દુનિયાનાં કોઇ દેશમાં સ્ત્રીઓને પૂરેપૂરું સમ્માન આપવામાં આવતું નથી અને સ્ત્રીઓની હીનતા અંગેના પૂર્વગ્રહો મોટાભાગે હજુ જેમના તેમ રહે છે. ૭૫ દેશોના સર્વેક્ષણના તારણ અનુસાર ૯૦ ટકા પુરુષો હજી આજે પણ સ્ત્રીઓને હલકી અને ઓછી બુધ્ધીશકિત ધરાવનાર માને છે અને લાંબા વખતથી પાંજરામાં પુરાયેલી સ્ત્રીઓ પણ પોતાની જાતને નિલબંધ અને કમઅકકલ માનવા લાગી છે. કુટુંબની જવાબદારી પુરુષો ઉપાડે છે તેથી પુરુષોને ચડીયાતું સ્થાન મળવું જોઇએ તે દલીલ તદ્ન બિન પાયાદાર છે. ભારતની વસતી ગણતરી મુજબ ૬૫ ટકા કુટુંબોમાં મુખ્ય કામ સ્ત્રીઓ કરે છે.
સમસ્ત માનવ સમાજમાં સ્ત્રીઓનો દરજજો ઉતરતો ગણવામાં આવે છે. તેના બે ઐતહાસિક કારણ છે. સ્નાયુશકિતનાં ધોરણમાં પુરુષ કરતાં સ્ત્રી થોડી નબળી હોવાથી જુના જમાનામાં પોતાના રક્ષણ માટે તેમણે પુરુષ પર આધાર રાખવો પડતો. માણસનાં બચ્ચાં ને મોટું થતા ઘણો વખત લાગે છે અને ઉપરાછાપરી સુવાવડોનાં કારણો જાહેરજીવન કે નોકરી ધંધામાં સ્ત્રીઓ પુરુષની સરખામણીએ ઉતરતી પુરવાર થાય છે. વિજ્ઞાને આ બંને કારણો દૂર કરી દીધા છે. આજના હથિયારો વાપરવામાં બળ કરતાં ચપળતા વધારે ઉપયોગી છે અને ચપળતાની બાબતમાં સ્ત્રીઓ ચડીયાતી છે. સંતિત નિયમનના સાધનો દ્વારા સ્ત્રીઓ બાળ જન્મનું પ્રમાણ અને સમયગાળો ઠરાવી શકે છે આવા સાધનો વાપરવાથી અનીતિનો ફેલાવો થાય છે અને નીતિ નાશનો માર્ગ ખુલ્લો થાય છે તેવો મહાત્મા ગાંધીજીનો અભિપ્રાય સમજવો કે સ્વીકારવો શકય નથી. વિજ્ઞાને સ્ત્રીઓને વધારે આત્મનિર્ભર બનાવીને તેમની આઝાદી અને સમાનતાનો દરવાજો ખોલી આપ્યો છે. જનનાંગો જુદા છે પણ સ્ત્રીઓની માનસિક કે બૌધ્ધિક શકિતમાં રજમાત્ર પણ ઊતરતી નથી. છતાં સદીઓથી જામેલા પૂર્વગ્રહોનાં કારણે સ્ત્રીઓએ યાતના અને અપમાન સહન કરવા પડે છે. આ હકીકતનો ઉત્તમ નમુનો ધાર્મિક ક્ષેત્રમાં જોવા મળે છે દુનિયાનાં દરેક ધર્મે સ્ત્રીઓને ઊતરતી લેખાવી છે અને ધર્મની આગેવાની સ્ત્રીઓ ભોગવી શકતી નથી. ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન, બૌધ્ધ, ધર્મોમાં પણ આવો ભેદભાવ આજે પણ હયાત છે પણ છેલ્લા પચાસ સાઠ વરસમાં ધર્મક્ષેત્રે પણ સ્ત્રીઓએ પોતાનું સ્થાન મેળવવાની અને જમાવવાની શરૂઆત કરી છે. સામાજીક રૂઢીઓ અને ધાર્મિક પૂર્વગ્રહોનાં સંગમ સ્થાન જેવી વિધિઓ માત્ર પુરુષો જ કરાવી શકે છે. લગ્નવિધિ, મરણોત્તર ક્રીયાઓ, ઘરનું વાસ્તુ કે કથા વાચન હજુ પુરુષોનો સુવાંગ અધિકાર રહ્યો છે સ્ત્રી ગમે તેટલી વિદ્ધાન હોય, વિધિની મેઘોથી પૂરેપૂરી વાકેફ હોય છતાં પુરોહીત તરીકેની કામગીરી બજાવી શકતી નથી. પણ આ ક્ષેત્રે પણ થોડા બાકોરા પડવાની શરૂઆત થઇ છે. પૂણેમાં સ્ત્રીઓને પુરોહીત તરીકે તાલીમબધ્ધ કરવામાં આવે છે. લગ્ન, મરણ, સત્યનારાયણની કથા કે પૂજા કરાવવા માટે ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે અને કેટલાક પ્રગતિશીલ કુટુંબો એ આવા પુરોહિત કાર્યો માટે સ્ત્રીઓની વરણી કરવાની શરૂઆત કરી છે. આવી જ પ્રવૃતિ કોલકત્તામાં શરૂ થઇ છે. જાધવપુર યુનિવર્સિટી અને કોલકત્તા યુનિનવર્સીટીમાં સંસ્કૃત ભાષા શીખવવા મોટા ભાગના બંને અધ્યક્ષાઓએ ‘શુભમસ્તુ’ નામની સંસ્થા સ્થાપી છે અને સ્ત્રીઓને પુરોહીત કર્મ તરીકેની તાલીમ આપવાનું કામ શરૂ થયું છે. પણ ગુજરાતમાં આવી કોઇ સંસ્થા કે આવી કોઇ પ્રવૃતિ વિશેની જાણકારી મળતી નથી. પુરોહીત ન મળે તો લોકો ટેપરેકોર્ડરથી કામ ચલાવે છે તેવું સાંભળવા મળ્યું છે. પણ સ્ત્રીઓએ આવી વિધિ કરાવી હોય તેવું ગુજરાતમાં હજુ સુધી બન્યું નથી. બૌધ્ધિક અને ધાર્મિક ક્ષેત્રે ગુજરાતનાં પછાતપણાનું ચાલુ પરિણામ આવ્યું હોવાનો સંભવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.