ગુજરાતમાં હાલની સ્થિતિએ આગામી ૪ માસ સુધીનો અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ-સરકારનો દાવો

કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે હાલની સ્થિતિએ ગુજરાત પાસે આગામી ૪ માસ સુધીનો અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવો રાજ્ય સરકારના વહિવટી તંત્ર દ્વારા દાવો કરાયો છે અને સાથે ઉમેર્યું છે કે રાજ્યમાં ૧.૦૮ લાખ મેટ્રિક ટન ઘઉં- ૫૧ હજાર મેટ્રિક ટન ચોખા-૬૫૦૦ મેટ્રિક ટન દાળ-૧૦ હજાર મેટ્રિક ટન ખાંડનો જથ્થો પણ એપ્રિલ માસની જરૃરિયાત મુજબ વિતરણ માટે પૂરતા પ્રમાણમાં છે.

લોકડાઉનની આ સ્થિતિમાં રાજ્યના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમિત મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ મુખ્યમંત્રી વિજય રૃપાણીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરાઇ છે તેમ જણાવતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ઉમેર્યું હતું કે, ‘ગુજરાતમાં રવિવારે સવારે ૨૦૫.૮૯ લાખ લીટર દૂધની આવક થઇ છે અને ૪૪.૮૮ લાખ લીટર દૂધ પાઉચનું વિતરણ કરાયું છે. રાજ્યની શાક બજારોમાં રવિવારે ૯૦૦૮૬ ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ છે. તેમાં ૨૮૧૪૪ બટટા, ૨૦૧૬૬ ક્વિન્ટલ ડુંગળી, ૭૧૦૫ ક્વિન્ટલ ટામેટા, ૩૪૬૭૦ ક્વિન્ટલ લીલા શાકભાજીના આવરોનો

સમાવેશ થાય છે. રાજ્યમાં રવિવારે ૧૧ હજાર ક્વિન્ટલ ફળો પૈકી ૫૫૪ ક્વિન્ટલ સફરજન, ૬૬૨ ક્વિન્ટલ કેળા, ૯૭૮૩ ક્વિન્ટલ અન્ય ફળોની આવક રહી છે. ‘

લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકોને ઘઉં-ચોખા જેવી વસ્તુઓનો પુરવઠો વિના વિઘ્ને મળી રહે તે અંગેની વિગતો આપતા અન્ન-નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદે આપતા જણાવ્યું હતું કે, ‘૬ લાખ ૪૫ હજાર મેટ્રિક ટન અનાજ એફ.સી.આઇ.ના ગોડાઉનમાં છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં વધારાનો ૧ લાખ મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. ૨૦ હજાર મેટ્રિક ટન દાળ પણ નાફેડ પાસેથી ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા કરાઇ છે. આમ, હાલની સ્થિતિએ જથ્થો જોતાં રાજ્યમાં આગામી ચાર માસ સુધી અનાજના જથ્થામાં કોઇ વિઘ્ન નડે તેમ નથી. ‘

ગુજરાતમાં વસવાટ કરતા નિઃસહાય અને એકલવાયું જીવન જીવનારા વૃદ્ધો તથા નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ભોજન આપવાની મુખ્યમંત્રીની ટહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારસુધીમાં આવા ૫ લાખ ૩૯ હજાર ૧૯ ફૂડ પેકેટ્સનું જિલ્લા તંત્રવાહકોએ સેવા સંગઠનોના સહયોગથી વિતરણ કર્યું છે. શનિવારના એક જ દિવસમાં ૮ મહાનગરોમાં ૧૨૬ સંસ્થાઓના સહયોગથી ૮૨૧૨૩ ફૂડ પેકેટ્સ વિતરણ કરાયા છે.આ ઉપરાંત  રાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા સ્ટેટ કન્ટ્રોલરૃમના હેલ્પલાઇન ૧૦૭૦ નંબર ઉપર અત્યારસુધીમાં ૯૦૮ કોલ્સ સહાય માટેના, જિલ્લા કક્ષાના કન્ટ્રોલ રૃમ હેલ્પલાઇન ૧૦૭૭ને ૩૮૬૬ કોલ્સ મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.