દિલ્હી પોલીસે ડોક્ટર આત્મહત્યા કેસમાં AAP ધારાસભ્ય વિરૂધ્ધ કેસ નોંધ્યો

દિલ્હીમાં એક ડોક્ટરે આત્મહત્યા કરી છે. આ મામલો નેબ સરાય પોલીસ સ્ટેશનના દુર્ગા વિહારનો છે. આ કેસમાં પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી છે.

તેના આધારે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ જારવાલ સામે આત્મહત્યા કરવા માટે પ્રેરવાનો ગુનાનો કેસ નોંધ્યો છે.

દિલ્હી પોલીસને આજે સવારે 6.17 વાગ્યે આ સંબંધમાં પીસીઆર કોલ મળ્યો હતો. સ્યુસાઇડ નોટમાં ડોક્ટરે લખ્યું છે કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા તેને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.

આ પછી દિલ્હી પોલીસે આપના ધારાસભ્ય પ્રકાશ જારવાલ, કપિલ નગર અને અન્ય વિરુદ્ધ ખંડણી અને આત્મહત્યા માટે પ્રેરવાનો ગુનો નોંધ્યો છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે સવારે પીસીઆર કોલ પહોંચતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અહીંથી જાણવા મળ્યું કે આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ ડો.રાજેન્દ્રસિંહ છે.

રાજેન્દ્ર સિંહ દિલ્હીના દુર્ગા વિહારનો રહેવાસી હતો. તે 52 વર્ષનાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ તેમણે વહેલી સવારે ઘરની છત પર આત્મહત્યા કરી હતી.

પોલીસનું કહેવું છે કે આજે વહેલી સવારમાં તેણે દોરડાથી લટકીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. સવારે 5.30ની આસપાસ એક ભાડુઆતે પરિવારને ઘટનાની જાણ કરી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલે કહ્યું છે કે પૈસા સાથે જોડાયેલી કેટલીક બાબતો હતી, પરંતુ તેમને ખબર નહોતી કે ડો.રાજેન્દ્ર આટલું મોટું પગલું ભરશે. પોલીસ હવે આ કેસની તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.