કેરળનો કોરોના સામે વિજય : જ્યાં પ્રથમ કેસ આવ્યો હતો એ રાજ્યે આજે સફળતા મેળવી, ગુજરાત હાર્યું

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતના દક્ષિણી પ્રાંત ગોડ્સ ઓન કન્ટ્રી એટલે કે ભગવાનની ભૂમિ તરીકે જાણીતા અને વિશ્વમાં પોતાના મેડિકલ ટૂરિઝમ માટે વિખ્યાત છે. કેરળ હાલ કોરોના વાયરસ વિરૂદ્ધ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નેતૃત્વમાં લડી રહેલી લડાઈને કારણે ચર્ચામાં છે. ગુજરાતમાં હાલમાં કોરોના સામે હારી ગયું હોય તેમ કેસ અટકી રહ્યાં નથી. ગુજરાત કોરોનાના કેસમાં બીજા નંબરે પહોંચી ગયું છે.

દેશભરમાં કેરળ મોડલની ચર્ચા
કોરોના સામેની જંગ લડવા માટે દેશભરમાં કેરળ મોડલની ચર્ચા થઈ રહી છે. કેરળના કાસરગોડમાં કોરોના વાયરસના સૌથી વધુ મામલાઓ સામે આવ્યાં હતા. કાસરગોડમાં 31 માર્ચ સુધીમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 106 હતી. 6 એપ્રિલે સંક્રમિત લોકોની સંખ્યા 164 હતી અને જે બાદ 10 દિવસમાં માત્ર 14 કેસ સામે આવ્યાં હતા. સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના લોકડાઉનની તર્જ પર ત્રણ પગલાંઓ લીધા છે. જેમાં વિદેશથી ખાસ કરીને ખાડી દેશોમાંથી આવેલા 19 સંક્રમિત લોકોને સીધા કે પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા લોકોને પૂર્ણ રીતે આઈસોલેટ કરવા માટે અભિયાન અંતર્ગત પગલાંઓ લેવામાં આવ્યા હતા.

પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું
આ ઉપરાંત પોલીસ વ્યવસ્થા માટે પારંપરિક રીત અપનાવવામાં આવી, જેમાં રસ્તાઓ બંધ કરાયાં, દરેક જગ્યાએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું જેના પગલે લોકોને ઘરમાંથી બહાર નીકળતા રોકવામાં લગભગ સફળતા મળી. આ ઉપરાંત કેરળ સરકારે તમામ સંક્રમિત મામલાઓ, ઘરમાં કોરોન્ટિન થયેલા લોકો, બીજા દેશમાંથી આવેલા તમામ લોકો તેમજ તેમના સીધા કે પરોક્ષરૂપથી સંપર્કમાં આવેલા લોકો માટે સ્થાનિક આંકડાઓ તૈયાર કરવામાં આવ્યાં. વિદેશ આવેલા જે લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ તે લોકોએ પોતાના કયા સંબંધી, મિત્રો સાથે મુલાકાત કરી તેની પણ એક યાદી બનાવવામાં આવી. આ બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ત્રીજું પગલું ભરવામાં આવ્યું. ત્રીજા પગલાં તરીકે ઘરોની બહાર પહેરો લગાડી દેવામાં આવ્યો. પ્રભાવિત લોકોના ઘરો સુધી પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું. પોલીસ કર્મચારીઓ લોકો પાસે જઈને ઘરમાં રહેવાનું મહત્વ સમજાવતા હતા. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકો પર ધ્યાન રાખવા માટે ડ્રોનનો ઉપયોગ પણ વધારવામા આવ્યો.

કોરોનાથી સંક્રમિત લોકોની ઓળખ
કેરળમાં કોરોનાથી સંક્રમિત લોકોની ઓળખ કરી સુનિયોજિત યોજનાથી ઉપચારાત્મક પદ્ધતિઓને લાગુ કરવામાં આવી. પ્રારંભિક તપાસમાં કોરોનાના શા કારણે ફેલાય રહ્યો છે તેને સમજવા માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ તથા આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં. આ ટેસ્ટ સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર નિશુલ્ક કરવામાં આવ્યાં. સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોની સુવિધા ઊભી કરવામાં આવી. લોકડાઉનના કારણે સમાજનો નબળા અને ગરીબ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે મજૂરો માટે ભોજન વ્યવસ્થા તેમજ આજીવિકાના સાધનોને લઈને એક સુનિશ્ચિત વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી.

દેશમાં આઠમું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય
કેરળ દેશના બીજા રાજ્યોની તુલનાએ વિશ્વથી કંઈક અલગ રીતે જોડાયેલું છે. અહીના અપ્રવાસીઓની વસ્તી 25 લાખ છે અને ચાર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દર વર્ષે લગભગ 1.7 કરોડ યાત્રિકો અવરજવર કરે છે. પ્રતિવર્ગ કિલોમીટર 819 જનસંખ્યા ઘનત્વની સાથે આ દેશમાં આઠમું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. પરંતુ તેમની પાસે બે ટ્રમ્પ કાર્ડ પણ છે. જેમાં એક છે વિશ્વસ્તરીય સ્વાસ્થ્ય વ્યવસ્થા અને બીજો છે વર્ષ 2018માં ઘાતક નિપાહ વાયરસના પ્રકોપને કાબૂ કરવાનો અનુભવ. ત્યારે આ અનુભવના આધારે જ કેરળે પણ કોરોનાને વધુ ફેલાવતો અટકાવ્યો છે અને લગભગ જીત મેળવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.