Covid-19: ભારતમાં 17થી વધારે દેશોનો વાયરસ પ્રસર્યો, દરેક ક્ષેત્રમાં અલગ સ્વરૂપ ધારણ કર્યું

 

ભારતીય વૈજ્ઞાનિકોએ પણ હવે કોરોના વાયરસ જળવાયુ અને સ્થળ પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલે છે તે બાબત સ્વીકારી લીધી છે. વાયરસના જીનોમની તપાસ કરી રહેલા વૈજ્ઞાનિકોએ ભારતીય દર્દીઓમાં અત્યાર સુધીમાં 17થી પણ વધારે દેશોના વાયરસ મળી આવ્યા હોવાનું નોંધ્યું હતું. આ ઉપરાંત વાયરસના પાંચ મ્યુટેશન એટલે કે આનુવંશિક પરિવર્તનો પણ મળી આવ્યા છે.

પુણે ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ભારતીય દર્દીઓમાં મળેલા વાયરસ કોઈ એક જ દેશના વાયરસ જેવા નથી. દર્દી જે દેશમાંથી પાછો આવ્યો છે તેનામાં ત્યાં ફેલાયેલા સ્ટ્રેનની ખબર પડે છે. તેનાથી સાબિત થાય છે કે, ચીનના વુહાનથી નીકળેલો વાયરસ જે દેશમાં પહોંચ્યો ત્યાંની સ્થિતિ મુજબ ઢળી ગયો હતો.

વૈજ્ઞાનિકોએ ઈટાલી, ઈરાન સહિતના સ્થળોથી પરત આવેલા ભારતીયોને પાંચ સમૂહમાં વહેંચ્યા હતા અને 21 નમૂનાઓનું અધ્યયન કર્યું હતું. તેમાં દરેક સંક્રમિત નમૂનાનો વાયરસ અલગ-અલગ દેશના વાયરસ જેવો વ્યવહાર કરતો હોવાનું જાણવા મળ્યું હતું. વૈજ્ઞાનિકોને ત્રીજા અભ્યાસમાં પણ તેઓ બે મહીનાથી જેની પાછળ પડેલા તે સફળતા નહોતી મળી શકી. જો કે, સતત મોનિટરિંગના કારણે વાયરસનું સમગ્ર ચિત્ર જાણી શકાયું છે. તેનાથી ભારતમાં કેટલા સ્ટ્રેન અને મ્યુટેશન છે અને તેમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે તે જાણી શકાયું છે.

ચીનમાં 4,300 મ્યુટેશન નોંધાયા

ચીનના નેશનલ સેન્ટર ફોર બાયોઈન્ફોર્મેશને વાયરસના 4,300 મ્યુટેશન નોંધ્યા હતા. તેમણે વુહાનના 10,000 લોકોના સેમ્પલનો અભ્યાસ કર્યો હતો તથા ત્રણ સ્ટ્રેન એ, બી અને સી પણ શોધ્યા હતા. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોના મતે કેટલાક એવા પણ સ્ટ્રેન છે જેની તાકાતનું પૂર્વાનુમાન શક્ય નથી. મૈડ રૈક્સીવ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં પણ ઘાતક મ્યુટેશનની પૃષ્ટિ કરાયેલી છે.

આગ્રાના દર્દીઓનું સંક્રમણ સ્ટ્રેન ફ્રાંસ સહિતના દેશો જેવું

જયપુરમાં ઈટાલીના જે નાગરિકો સંક્રમિત મળી આવેલા તેમનામાં ચેક ગણરાજ્ય, સ્કોટલેન્ડ, ફિનલેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, શાંઘાઈ અને આયરલેન્ડમાં ફેલાયેલા વાયરસ જેવી સમાનતા હતી. જ્યારે દિલ્હીના દર્દીઓના સંપર્કમાં આવેલા આગ્રાના દર્દીઓમાં મળેલા સંક્રમણના સ્ટ્રેન નેધરલેન્ડ, હંગરી, ફ્રાંસ, જર્મની, બ્રાઝિલ અને સ્વિત્ઝરલેન્ડ જેવા છે.

કુવૈત જેવું પાંચમું મ્યુટેશન મળ્યું

ભારતીય દર્દીઓમાં કુવૈતના દર્દીઓમાં જોવા મળે છે તેવું જ વાયરસનું પાંચમું મ્યુટેશન જોઈને વૈજ્ઞાનિકો ચોંકી ગયા હતા. અગાઉ ભારતમાં બે મ્યુટેશન મળ્યા હતા અને તેના પછી બીજા ત્રણ મ્યુટેશન સામે આવ્યા છે.

વાયરસનું સાચું સ્વરૂપ ન જાણી શકાયું

સૌ પ્રથમ વુહાનથી પરત ફરેલા કેરળના બે વિદ્યાર્થીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યાંના વાયરસ અને આ બંને વિદ્યાર્થીમાંથી મળેલા વાયરસમાં 99.97 ટકા સમાનતા હતી પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં સમાનતા નહોતી.

જયપુરમાંથી મળી આવેલા ઈટાલીના સંક્રમિત નાગરિકો તથા ઈટાલીથી દિલ્હી આવેલા દર્દીઓ અને તેમના આગ્રાના સંબંધીઓ પર સંશોધન કરાયું હતું. હાલ વાયરસને આઈસોલેટ કરીને દવાનું પરીક્ષણ થઈ રહ્યું છે પરંતુ જેનેટિક અંતર ખૂબ વધુ જણાઈ રહ્યું છે.

ત્રીજા સંશોધનમાં આ લોકો સિવાય ઈરાન-ઈટાલીથી લાવવામાં આવેલા નાગરિકોના 21 સેમ્પલની તપાસ કરાઈ હતી. તેમાં 17થી વધારે દેશોની સમાનતા મળી હતી પરંતુ વાસ્તવિક જીનોમ સંરચના અલગ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.