બસો ડિટેઈન કરી દેવાતા બે દિવસથી ડ્રાઇવરોની હાલત કફોડી, ડ્રાઈવરોએ ગુજરાત સરકાર પાસે મદદ માગી

ગુજરાતના વિવિધ શહેરો સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત નહીં આવવા દેવાની વાતથી અકળાયેલા ભૂખ્યા-તરસ્યા ડ્રાઈવરોએ આખરે વીડીયો બનાવી મદદની અપીલ કરી હતી.

કોરોનાએ ગુજરાતમાં વિકરાળ રૂપ લેતા તેના ભય અને લોકડાઉન વચ્ચે કામધંધા વિના અકળાયેલા બે ટંકના ભોજનની ચિંતામાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિક વર્ગોએ પોતાના વતન જવાની માંગ કરી હતી. સૌથી પહેલા ઓડિશા સરકારે તેમના શ્રમિકોને વતનમાં આપવાની પરવાનગી આપી હતી. જેથી, સુરત, ભરૂચ અને વડોદરા સહિતના શહેરમાં 80 જેટલી બસ શ્રમિકોને લઈને ઓડિશા ગઈ હતી. જોકે, આ બસમાં રિટર્ન ભાડા વસૂલ કરાયા હતા. પ્રત્યેક કિલોમીટરે રૂ. 45થી 50 લેવાયા હતા. જતી વખતે બે બસને અકસ્માત નડ્યો હતો. શનિવારે અને રવિવારે કેટલીક બસો પહોંચી હતી.

વતન પહોંચેલી 80 જેટલી બસોને ભુવનેશ્વરના અંતરિયાળ ગામમાં એક મેદાનમાં મુકાવી દીધી હતી અને ત્યાં ડ્રાઈવર-કંડક્ટરોને ખાવા-પીવા કે ચા-પાણી નાસ્તાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તાપ-તડકામાં ભૂખ્યા –તરસ્યા અકળાયેલા ડ્રાઈવરોએ ગુજરાત જવાની માંગણી સ્થાનિક કલેક્ટરોટના અધિકારીઓને અને પોલીસને કરી હતી. પરંતુ મેદાની બહાર ઊભેલી પોલીસ, સીઆરપીએફ અને આરએએફના જવાનોએ તેમને બહાર નીકળવા દીધા ન હતા. આખરે અકળાયેલા ડ્રાઈવરોએ સામુહિક રીતે એક વીડીયો બનાવીને મદદ કરી મુક્ત કરાવવા અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.