કેસરીયાનુ કોંગ્રેસીકરણ:આટલા વષોઁમાં 65 કોંગી ઘારાસભ્યો ભાજપમાં ભળી ગયા

ગુજરાત સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. એ સ્પષ્ટ સાબિત થઈ ગયું છે કે ભાજપ હવે ચૂંટણી જીતવા માટે કોઈ પણ સિદ્ધાંતોને નેવે મૂકી છે. એટલે જ ભાજપમાં ઓરિજનલ જનસંધના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ વધારે છે. રાજ્યમાં ૧૯૯૫માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને આગેવાનોની ભરતી કરી છે.

ભાજપે વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. એવી જ રીતે લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં પણ પાર્ટીના નબળા ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે.

ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા નેતાઓ કે જેમાં સાંસદો તેમજ ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેની સંખ્યા ૫૭ થવા જાય છે. એટલે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને સંગઠન છે તેમાં ૨૨ ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપે સરકાર અને સંગઠનમાં મહત્વના હોદ્દા આપ્યા છે. જેમ કે બલવંતસિંહ રાજપૂતને ભાજપની સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ચેરમેન બનાવ્યા છે, જ્યારે મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલને ભાજપે ગુજરાત મિનરલ ડેવલમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેનનું પદ આપ્યું છે.

રાજ્યમાં ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની ભાજપમાં સંખ્યા ૫૭ થવા જાય છે. એ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણીમાં મેળવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોને તોડીને કોંગ્રેસનું શાસન ભાજપે આંચક્યું છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું સૂત્ર લઇને આગળ વધતા ભાજપમાં અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સંસ્થાઓના કોંગ્રેસના ૧૫૦૦ જેટલા સભ્યો હાલ ભાજપમાં છે. મોટા નેતાઓની સાથે તેમના સમર્થકો અને સાથીઓ પણ ભાજપમાં જોડાયા હોવાની ૩૫ ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા ૪૫૦૦ કરતાં વધુ જોવા મળે છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપે પક્ષાંતર કરાવીને કોંગ્રેસના સિનિયર ડઝનબંધ નેતાઓને પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટમાં મહત્વના પદ આપવામાં આવ્યા છે. ભાજપમાં વર્ષોેથી ચૂંટાઇને ધારાસભ્ય બનતા સિનિયર સભ્યોને મંત્રીપદ મળતું નથી પરંતુ કોંગ્રેસના આયાતી સભ્યોને સરકારમાં મહત્વના પદ મળી જાય છે. ગુજરાત ભાજપને જાણે કે કોંગ્રેસનો રોગ લાગ્યો છે. આ રીતે કોંગ્રેસને ખતમ કરીને ભાજપે પ્રવેશના દરવાજા ખોલીને શું સિદ્ધ કર્યું છે તે પાર્ટીના પાયાના કાર્યકરોને સમજાતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.