ચીનને કારણે ભારતે વધુ એક પાડોશી મિત્ર ગુમાવ્યો, ભારતના સરહદી વિસ્તારો ‘અમારા’ : નેપાળની સંસદમાં નકશો મંજૂર

નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. વાતચીતથી વિવાદનું નિરાકરણ લાવવાની વાતો કરનારા નેપાળે ફરી અવળચંડાઇ કરી છે. નેપાળે ભારતના કેટલાક સરહદી વિસ્તારોને પોતાના જાહેર કરીને નવો નક્શો જાહેર કર્યો હતો.

હવે ભારતના હિસ્સાને પોતાનો બતાવતા નેપાળના આ નક્શાને સંસદમાં પણ મંજૂરી મળી ગઇ છે. નેપાળની સંસદમાં નવા નક્શા માટે રજુ કરાયેલા બિલને સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યું છે અને કોઇએ પણ વિરોધ નહોતો કર્યો.

ભારત નેપાળના આ વિવાદિત નક્શાનો વિરોધ કરતુ આવ્યું છે છતા નેપાળે તેના પર કોઇ જ ધ્યાન ન આપ્યું અને આખરે ભારતના જ કેટલાક હિસ્સાને પોતાનો બતાવી નક્શો જાહેર કરી દીધો.

આ નક્શા માટેના બિલને નેપાળના કાયદા મંત્રી ડો. શિવમાયા તુમ્બાડે પ્રતિનિિધ સભા એટલે કે સંસદના નીચલા ગૃહમાં રજુ કર્યું હતું. જેના સમર્થનમાં 258 મત પડયા હતા અને વિરોધમાં એક પણ મત નહોતો પડયો. એટલે કે નેપાળની સત્તાધારી અને વિરોધ પક્ષ બન્નેએ મળીને આ બિલને મોહર મારી દીધી છે અને ભારતના કેટલાક હિસ્સાને પોતાના જાહેર કરી દીધા છે.

નેપાળે સૌથી પહેલા આ નવો નક્શો 18મી મેએ જાહેર કર્યો હતો. આ નક્શામાં નેપાળે લિપુલેખ, કાલાપાની વગેરેને પોતાના બતાવી દીધા છે. આ પહેલા ભારતે લિપુલેખથી ધારાચુલા સુધી રસ્તો તૈયાર કર્યો હતો કે જેથી કૈલાશ માનસરોવર યાત્રા કરવામાં લોકોને સરળતા રહે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આઠ મેના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આનું ઉદઘાટન કર્યું હતું. જે બાદ નેપાળની સરકારે તેનો વિરોધ કર્યો હતો. જોકે નેપાળ અગાઉ પણ આ મામલે વિવાદો કરી ચુક્યું છે. નેપાળના આ નક્શાને લઇને ભારતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ નક્શો ઐતિહાસિક હકિકતોની તદ્દન વિરૂદ્ધમાં છે.

નેપાળ લિપુલેખ અને અન્ય બે વિસ્તારોને પોતાના હોવાના દાવા કરતુ આવ્યું છે. નેપાળ પોલીસે સરહદે ભારતીય ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો જેને પગલે એક ભારતીય નાગરિકનું મોત નિપજ્યું હતું. પહેલી વખત નેપાળ સરહદે તંગદીલી વધી ગઇ છે. ચીનના ઇશારે કામ કરી રહેલું નેપાળ ભારતને દરરોજ નવા નવા પડકારો ફેકી રહ્યું છે.

નેપાળના બનાવટી નક્શાને ક્યારેય નહીં સ્વીકારાય : ભારત

નેપાળે ભારતના સરહદના કેટલાક વિસ્તારોને પોતાના નામે કરી લીધા છે. આ માટે તેણે બંધારણમાં સંશોધન કરતા એક નવા બિલને પણ સંસદમાં પસાર કરી દીધુ છે જેને પગલે નેપાળ નવો નક્શો જારી કરી શકશે. આ સિૃથતિ વચ્ચે હવે ભારતે નેપાળના આ પગલાની આકરી ટીકા કરી છે.

ભારતે કહ્યું છે કે નેપાળે આર્ટિફિશિયલ દાવાઓ સાથે ભારતીય સરહદના કેટલાક ભાગને પોતાનો જાહેર કરતો નક્શો બહાર પાડી દીધો છે. ભારતના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે નેપાળે આ પગલુ ભરીને સરહદે જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દ વાતચીતથી નિરાકરણ લાવવાની સમજૂતીનો પણ ભંગ કર્યો છે.

નેપાળ એક તરફ વાતચીતથી નિરાકરણ લાવવાની વાત કરે છે જ્યારે બીજી તરફ ભારતના જ હિસ્સાને પોતાનો દર્શાવતા નક્શા જાહેર કરવા લાગ્યું છે. નેપાળનું આ પગલુ અસ્વીકાર્ય છે. ભારતે પોતાના વિરોધમાં કહ્યું છે કે નેપાળના આ બનાવટી નક્શામાં હકિકત અને સત્ય ક્યાં છે જ નહીં આ ઇતિહાસના તથ્યોની સાથે પણ ચેડા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.