રાજ્યમાં કોરોના વાયરસ બેકાબુ: છેલ્લા 24 કલાકમાં 524 કેસ, 28 મૃત્યુ, 418 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહેતા પોઝીટીવ દર્દીઓનો આંકડો 500ને પાર રહ્યો છે, ત્યારે આજે વધુ 524 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 28 દર્દીના મોત થયા છે.

આ સાથે જ 418 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 332 કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોનાં મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 24628 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1534 અને ડિસ્ચાર્જનો કુલ આંક 17090 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલ 6004 છે. જેમાં 64 દર્દીઓની હાલત ગંભીર છે અને 5940 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 524

રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 24628

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 28

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 418

ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 17090

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ૩૩૨, સુરત ૭૧, વડોદરા ૪૧, ગાંધીનગર, ૨૨, રાજકોટ ૧૦, ભરૂચ ૬, પંચમહાલ ૫, અરવલ્લી ૪, અમરેલી ૪, મહેસાણા ૩, પાટણ ૩, કચ્છ ૩, જામનગર ૩, સુરેન્દ્રનગર ૩, બનાસકાંઠા ૨, સાબરકાંઠા ૨, આણંદ ૨, ખેડા ૨, ભાવનગર ૧, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧, મોરબી ૧, અન્ય રાજ્ય ૨ કેસો નોંધાયા હતા.

આજે રાજ્યમાં ૨૮ વ્યક્તિઓનાં કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે. જેમાં અમદાવાદમાં-૨૧, સુરત, વડોદરા, સાબરકાંઠામાં ૨–૨, અને પંચમહાલમાં-૧ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૩૪ મૃત્યુ નોંધાયા છે.

મેઘાણીનગરના રેશનસંચાલકનુ કોરોનાનાં કારણે  મોત

અમદાવાદનાં મેઘાણીનગર વિસ્તારમાં રહેતા રેશનસંચાલકનુ કોરોનાનાં કારણે મોત નીપજીયું છે. મૃતક 50 વર્ષના હતા અને તેમનું નામ રાજેન્દ્ર જૈન હોવાનું સામને આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાર રેશનસંચાલકોના કોરોનાનાં કારણે મોત થયા છે. અને તેમની સાથે કામ કરતા 10 જેટલા કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીના PAને કોરોના પોઝિટિવ

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના PAનો કોરોના પોઝિટિવ આવ્યો છે. શિક્ષણમંત્રીનાં PA ડી.જી મહેતાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ડી.જી મહેતાને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ગાંધીનગર શહેરમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ફોરેન્સિક સાયન્સ લેબમાં ફરજ બજાવતું દંપતી પોઝિટિવ આવ્યુ છે. સેક્ટર 7A માં રહેતું દંપતી કોરોના પોઝિટિવ આવ્યુ છે. અને સેકટર 3D માં 37 વર્ષની મહિલા અને સેક્ટર 3A માં રહેતા યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો અરવલ્લી જિલ્લામાં વધુ 4 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કુલ કોરોનાનો આંક 160 પર પહોંચ્યો છે.

આણંદમાં કોરોનાનાં 2 પોઝિટિવ કેસ

આણંદમાં  કોરોનાનાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાતમાં 63 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. અને  આણંદમાં પણ કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 131 પર પહોંચી ગયો છે.

જામનગરમાં વધુ 2  કોરોનાનાં પોઝિટિવ કેસ

જામનગરનાં પડાણાના 55 વર્ષીય પુરુષ અને  થાવરિયાના 24 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. બંનેને આઈસોલેટ કરવા તંત્રની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધી હોસ્પિટલમાં 26 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભાવનગરમાં કુલ પોઝીટીવ આંક 168 પર

ભાવનગરમાં  કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. 39 વર્ષીય મહિલા મુંબઈથી  તેમના પુત્ર સાથે ભાવનગર આવેલા હતા. મુંબઈમાં તેમના એક પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલો હતો. ભાવનગર કોરોનાનાં ૧૬૬ પોઝિટિવ કેસ આવેલ છે જેમાં ૧૪ ના મૃત્યુ થયેલ છે. ૧૨૧ દર્દીને ડિચાર્જ કરેલ છે. ૩૧ દર્દી સારવાર હેઠળ આઇસોલેશન છે.

ત્યારે આજે  વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના જાલવદર ગામે રહેતા 32 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે શહેરના વિદ્યાનગરમાં રહેતી 30 વર્ષીય મહિલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

ભરૂચમાં 5 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં  કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે. ભરૂચ શહેરમાં 3 અને જંબુસરમાં વધુ 2 કેસ નોંધાયા છે. ભરૂચના નંદેલાવ અને ઝાડેશ્વર વિસ્તારમાં એક-એક પોઝીટીવ કેસ છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 98 પર પહોંચી.

દ્વારકામાં વધુ 1 કેસ પોઝીટીવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. 31 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. દ્વારકા જિલ્લામાં પોઝીટીવનો અંક 17 પર પહોંચ્યો છે. હાલ 2 લોકો સારવાર હેઠળ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,12,905 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,07,835 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 4,070 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. તથા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,97,870 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.