સંયમની શિક્ષા આપતા પાવાપુરી જલમંદિરના બંને લંપટ જૈન સાધુની જીવન શૈલી ‘વૈભવી’!

– મહિલા સાથેના વ્યભિચારના વાઈરલ થયેલા વિડીયોની તપાસ માટે પોલીસ સુરત પહોંચી

– સેક્સ કાંડથી બદનામ થયેલા જલમંદિરને તાળાં

– બંને સાધુઓની સેક્સલીલા બહાર આવ્યા બાદ સમગ્ર જૈન સમાજમાં ફિટકાર

– ભાંડો ફૂટયા બાદ બંને લંપટ સાધુઓ મંદિરમાં નજરકેદ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઈડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુના સુરતની મહિલા સાથેના વ્યભિચારના કથિત ફોટા-વીડિયો સામે આવ્યા બાદ જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.  સંયમનો માર્ગ શિખવતા બંને સાધુ મોબાઇલ જેવા ઉપકરણો વાપરવાની સાથે ક્યાંય જવા-આવવા વાહનનો છુટથી ઉપયોગ કરતા હતા. ઉપરાંત તેઓના નામના સ્ટેમ્પ સહિતના દસ્તાવેજો પણ કરાવતા હતા, જ્યારે કે જૈન સમાજના સાધુઓ માટે આ બધી બાબતનો નિષેધ હોય છે. જૈન અગ્રણીઓએ પવિત્ર જગ્યામાં લંપટ-લીલા આચરનાર બંને સાધુઓની તાકિદે ધરપકડ કરવા માંગ કરી છે. આ માગણી બાદ હરકતમાં આવી ગયેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી, બંને સાધુને નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા બાદ એક ટીમને મહિલાનું નિવેદન નોંધવા સુરત રવાના કરી છે. સુરતના મહિલાના નિવેદન આધારે આ સમગ્ર પ્રકરણનું ભાવી નક્કી થશે.

શહેરના રાણી તળાવ પાસે આવેલ પાવાપુરી જલમંદીરના બે જૈન સાધુ (૧) કલ્યાણ સાગર તથા (૨) રાજતિલક સાગર (રાજા મહારાજ)ની વ્યભિચારી જીવનશૈલી સામે આવ્યા બાદ શહેરના જૈન સમાજમાં નફરતની લાગણી ઊભી થઇ હતી. ઈડર, વડાલી તથા હિંમતનગરના જૈન સમાજે સાધુના વેશે શેતાન જેવું કૃત્ય આચરનાર બંને સાધુઓ સામે કાર્યવાહી કરવા ટ્રસ્ટી મંડળ પર દબાણ લાવતાં, સૌ પ્રથમ ટ્રસ્ટીઓએ બંને સાધુઓને સાંસારિક કપડાં પહેરી લેવા વિનંતી કરી હતી.

જોકે ટ્રસ્ટીઓની વિનંતીને અવગણી સાધુઓએ ગાળા-ગાળી કરી ધમકીઓ આપતાં આખરે સોમવારે રાત્રે ટ્રસ્ટી ડો. આશિત દોશીએ બંને સાધુ સામે ઈડર પોલીસમાં વ્યભિચારની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ તે જ દિવસે બંને સાધુની ધરપકડ કરવા માંગ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.