બાબા સાહેબ આંબેડકરના મુંબઈના ઘરમાં તોડફોડ, તપાસમાં જોતરાઈ પોલીસ

બે અજ્ઞાત લોકોએ રાજગૃહમાં પ્રવેશી ગાર્ડન, ફળિયામાં તોડફોડ કરી સીસીટીવીને નુકસાન પહોંચાડવા પ્રયત્ન કર્યો

 

બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દાદર ખાતે આવેલા નિવાસ સ્થાન, રાજગૃહમાં કેટલાક અજ્ઞાત લોકોએ તોડફોડ કરી છે. હાલ આ ઘરમાં બાબા સાહેબના વંશજ પ્રકાશ આંબેડકર અને આનંદરાજ આંબેડકર રહે છે. બદમાશોએ ઘરના ગાર્ડન અને ફળિયામાં તોડફોડ કરી હતી અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ કેસની તપાસ માટે આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે, ‘મેં પોલીસને ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે અને આરોપીઓની તરત જ ધરપકડ કરી લેવામાં આવશે.’ આ તરફ પ્રકાશ આંબેડકરે સમગ્ર ઘટના મામલે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે. પ્રકાશના કહેવા પ્રમાણે હાલ સૌએ શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે.

પ્રકાશ આંબેડકરે જણાવ્યું કે, ‘આ સાચું છે કે બે લોકો રાજગૃહમાં આવ્યા હતા અને તેમણે અન્ય વસ્તુઓની સાથે સીસીટીવી તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે તરત જ આ મામલે સંજ્ઞાન લીધું હતું અને તમામ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ યોગ્ય રીતે તેમની ફરજ બજાવી છે. ત્યાં સુધી હું તમામ લોકોને શાંતિ જાળવવા વિનંતી કરૂં છું અને મહેરબાની કરીને સૌ રાજગૃહ પાસે ભેગા ન થશો.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.