ગરીબોને અનાજ માટેની યોજના નવેમ્બર સુધી લાગૂ રહેશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક મળી, કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી. આ બેઠકમાં 5 મહીના મફત અનાજ, પ્રવાસી મજુરોના ભાડા પર ઘર, જનરલ ઈંશ્યોરન્સ કંપનીમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણને લઈને નિર્ણયો કરવામાં આવ્યા.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છેલ્લા 3 મહીનામાં 81 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલો અનાજ ફ્રીમાં મળ્યું છે. જે અનાજ 2 રૂપિયા અને 3 રૂપિયામાં મળે છે તે મળતું રહ્યું. પરંતુ આ અનાજ ફ્રીમાં મળ્યું છે. તેનો અર્થ કે છેલ્લા 3 મહિનામાં પ્રતિ વ્યક્તિને 15 કિલો અનાજ મળ્યું છે.

આઝાદી બાદ પહેલીવાર આટલા લોકોને ફ્રીમાં અનાજ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ યોજનાનો ખર્ચ 1 લાખ 49 હજાર કરોડ રૂપિયા છે. આઝાદી બાદ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે, 8 મહીના સુધી 81 કરોડ લોકોને ફ્રીમાં અનાજ મળી રહ્યું છે. વડાપ્રધાને ગત દિવસોમાં તેનો વિસ્તાર કરવાની જાહેરાત કરી. આજે મંત્રીમંડળે તેને લાગુ કરી. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબ, નવેમ્બર સુધી આ યોજના લાગુ રહેશે. જેમાં એક વ્યક્તને 5 કિલો ફ્રીમાં અનાજ મળશે. ગત ત્રણ મહીનામાં 1 કરોડ 20 લાખ ટન અનાજ આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં 2 કરોડ 3 લાખ ટન અનાજ ફ્રીમાં આપવામાં આવશે.

અન્ય એક યોજનાનો વિસ્તાર

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે અન્ય એક યોજનાનો વિસ્તાર કર્યો છે. જે નાના વ્યવસાય છે જ્યાં 100થી પણ ઓછા કર્મચારી છે અને તેમાંથી 90% કર્મચારી 15 હજારથી ઓછો પગાર ધરાવે છે તેવા કર્મચારીઓનું દર મહીને 12% પીએફ જાય છે તેને સરકારે ભર્યું. જેનાથી 3 લાખ 66 હજાર ઉદ્યોગોને તેનો ફાયદો મળ્યો.

પ્રવાસી મજુરો માટે ભાડાનું મકાન

અન્ય એક નિર્ણય વિશે જણાવતા તેમણે કહ્યું, વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 107 શહેરોમાં 1 લાખ 8 હજાર નાના મકાન બનીને તૈયાર છે. તે મકાનો પ્રવાસી મજુરોને ભાડે આપવા માટે સરકારે નિર્ણય કર્યો છે. મજુરોને ભાડે સસ્તા મકાન નહોતા મળતા પરંતુ હવે સરકારે તેમના માટે નિર્ણય લીધો છે.

સરકારના વધુ એક નિર્ણય વિશે તેમણે જણાવતા કહ્યું કે, દેશમાં ત્રણ જનરલ ઈંશ્યોરન્સ કંપનીઓ છે. સરકાર તેમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.