મોદી સરકારે વધારી આ ત્રણ ડેડલાઈન, કરોડો લોકોને નવેમ્બર સુધી રાહત

ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને સપ્ટેમ્બર મહીના સુધી મફત સિલિન્ડર મળશે અને PMGKAY અંતર્ગત વધુ પાંચ મહીના મફત અનાજ ઉપરાંત પ્રતિ માસ એક કિલો ચણા મળશે

 

કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્વની ડેડલાઈન વધારી દીધી હતી જે તમામ લોકોના ખીસ્સા સાથે સંકળાયેલી છે. આ ડેડલાઈન સામાન્ય લોકોને સીધી અસર કરે છે અને તેની અવધિ વધારી દેવાઈ હોવાથી તેનો સીધો ફાયદો પણ તમને લોકોને મળશે. તો ચાલો તેના વિશે જાણીએ વિસ્તારપૂર્વક…

સપ્ટેમ્બર સુધી મફત સિલિન્ડર

સરકારની મહત્વાકાંક્ષી ઉજ્વલા યોજના અંતર્ગત તેના સાત કરોડ કરતા પણ વધારે લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવાની સુવિધાની અવધિ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવે તેને મંજૂરી મળી ગઈ છે. આ યોજના અંતર્ગત વધુ ત્રણ મહીના માટે મફત સિલિન્ડર આપવાથી 13,500 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલથી જૂન મહીના સુધી ત્રણ સિલિન્ડર મફત આપવાની ઘોષણા કરી હતી. ઉજ્વલા યોજના અંતર્ગત દેશના ગરીબ પરિવારની મહિલાઓના નામે મફતમાં ગેસ કનેક્શન ફાળવવામાં આવ્યા છે.

સરકાર ઓગષ્ટ સુધી PFની રકમ આપશે

કેન્દ્ર સરકાર ઓગષ્ટ મહીના સુધી નોકરીદાતા અને કર્મચારીઓના હિસ્સાની ક્રમશ: 12-12 ટકા પીએફ અમાઉન્ટ પોતે જ આપશે. આ યોજના ફક્ત એવા પ્રતિષ્ઠાનો માટે જ છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધીની છે અને તે પૈકીના 90 ટકા કર્મચારીનું માસિક વેતન 15,000 રૂપિયાથી વધારે નથી. ઉલ્લેખનીય છે કે સરકાર લોકડાઉન શરૂ થયું ત્યાર બાદ એપ્રિલ મહીનાથી આ સુવિધા આપી રહી છે. સરકારના આ નિર્ણયથી 3.67 લાખ નોકરીદાતા અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે.

નવેમ્બર મહીના સુધી મફત અનાજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ પાંચ મહીના એટલે કે જુલાઈથી નવેમ્બર, 2020 સુધી વિસ્તારી દેવામાં આવી છે. તેના અંતર્ગત તમામ લાભાર્થી પરિવારને મફત અનાજ ઉપરાંત આગામી પાંચ મહીના- જુલાઈથી નવેમ્બર, 2020 સુધી દર મહીને એક કિલો ચણાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.