કાલથી શ્રાવણ શરૂ પણ સૌરાષ્ટ્રના શિવભક્તો ભોલેનાથને ના તો દૂધ ચઢાવી શકે કે ના અભિષેક કરી શકે

રાજકોટ. કોરોના મહામારીને કારણે સંક્રમણ વધે નહીં તે માટે સૌરાષ્ટ્રના અમુક મંદિરોમાં દર્શન માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવતીકાલ મંગળવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના મંદિરોમાં ભક્તો ભોલેનાથ સમીપ નહીં જઇ શકે. મંદિર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમો ભક્તોએ પાળવાના રહેશે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. શિવભક્તો શિવલિંગ પર ના દૂધ ચઢાવી શકે કે ના અભિષેક કરી શકે.

આજી નદીના કિનારે આવેલું રામનાથ મહાદેવ મંદિરે તૈયારી કરવામાં આવી

રાજકોટના શિવાલયોમાં શ્રાવણ માસને લઇને તૈયારી કરવામાં આવી
શ્રાવણ માસને લઇને રાજકોટના પૌરાણિક મંદિર રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મંદિરમાં ત્રણ ફૂટ દૂરથી જ દર્શન થઇ શકશે. દર્શન કરીને તાકીદે ભક્તોએ નીકળી જવાનું રહેશે. કોઈ દુધ નહીં ચડાવી શકે કે અભિષેક નહીં કરી શકે. માત્ર દૂરથી ભક્તોએ દર્શન કરવાના રહેશે. કોઈ ભક્ત પૂજા પણ નહીં કરી શકે. આવું રામનાથ મહાદેવ મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટ CPએ શ્રાવણ માસને લઇને ગાઈડલાઈન બહાર પાડી
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શ્રાવણ માસને લઇને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાંમંદિરોમાં પ્રસાદની વહેંચણી પર પ્રતિબંધ અને મંદિરોમાં મૂર્તિને સ્પર્શ કરવા તથા ધાર્મિક પુસ્તકોને સ્પર્શ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સામૂહિક પગરખાગૃહ બંધ રાખવા,ધાર્મિક મેળાવડા તથા પાલખીયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.મંદિર બહાર કોરોના વાઇરસ અંગે જાગૃતિ બોર્ડ લગાડવા ફરજિયાત કરવામાં આવ્યું છે.દર્શન સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત કરવું અને
દર્શન સમયે માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરવામાં આવ્યો છે.

ભાવનગરનું તખ્તેશ્વર મંદિર

ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં તૈયારી કરાઈ
વર્ષો પહેલા ભાવનગરના રાજવી તખ્તસિંહજીની યાદમાં ટેકરી પર તખ્તેશ્વર મહાદેવજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માટે શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચનાનું આગવું મહત્વ રહેલું છે.ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણ ન વધે તે માટે તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના પૂજારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને અને સેનિટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મહાદેવજીને દૂધ અને જલાભિષેક માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા વગર ભક્તો બહાર ઉભા રહીને અભિષેક કરી શકશે.

સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા
સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શનિ, રવિ, સોમ તેમજ તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દર્શનનો સમય સવારે 6-00 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 9-15 સુધીનો રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વાગ્યા સુધીનો હતો. પરંતુ તહેવારોને ધ્યાનમાં લઈને સોમનાથ મંદિરના ટ્રસ્ટે દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.