અમે એક સેકન્ડ માટે પણ એજીઆર મુદ્દે દલીલો સાંભળવા માગતા નથી : સુપ્રીમ

– સુપ્રીમે બાકી રકમ ચૂકવવાના સમય અંગે ચુકાદો અનામત રાખ્યો

– એજીઆરની બાકી રકમ ચૂકવવા ટેલિકોમ કંપનીઓને 15 કે 20 વર્ષનો સમય આપવો યોગ્ય નથી : સુપ્રીમ

એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર) સંબિધત ટેલિકોમ કંપનીઓની બાકી રકમ અંગે એક સેકન્ડ માટે પણ અમે દલીલો સાંભળવા તેયાર નથી તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એજીઆર પેટે ટેલિકોમ કંપનીઓને કુલ  1.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે પોતાના ચુકાદામાં આ ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કંપનીઓએ એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે વધુ સમયની માગ કરી હતી.

આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે ટેલિકોમ કંપનીઓને 20 વર્ષ સુધીનો સમય આપવો જોઇએ. ખંડપીઠે જણાવ્યું હતું કે અમે એક સેકન્ડ માટે પણ એજીઆરની બાકી રકમની સમીક્ષા કરવા માટેની દલીલો સાંભળીશું નહીં.

સુનાવણી દરમિયાન ખંડપીઠે જણાવ્યું હતું કે 15 કે 20 વર્ષ યોગ્ય સમયગાળો નથી અને કંપનીઓએ યોગ્ય સમયગાળા સાથે આગળ આવવું જોઇએ. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તે ટેલિકોમ કંપનીઓએ નાદારી અંગે કરેલા બોનિફાઇડની સમીક્ષા કરશે.

18 જૂનના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(ડીઓટી)એ ગેઇલ જેવી નોન ટેલિકોમ પીએસયુ પાસેથી 4 લાખ કરોડ રૂપિયાની એજીઆર સંબિધત બાકી રકમ નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન આઇડિયાને એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે યોગ્ય સમયગાળાનો પેમેન્ટ પ્લાન રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે કેટલો સમય આપવો જોઇએ તે અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે. કેસની આગામી સુનાવણી 10 ઓગસ્ટે રાખવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.