રાફેલના આગમનથી ચીન, પાકિસ્તાન અને સવારે ટ્વિટ કરનારાઓના ત્યાં શોકઃ નરોત્તમ મિશ્રા

મિશ્રાએ રોજ સવારે ઉઠીને સેનાનું મનોબળ નબળું પાડનારાઓને બીજા દેશની નાગરિકતા લઈ લેવાની સલાહ આપી

ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ પાંચેય રાફેલ વિમાન આજે ભારત પહોંચી ગયા છે. આ વિમાનોએ અંબાલા એરફોર્સ ખાતે લેન્ડ કર્યું હતું અને ત્યાં જ તેમને તૈનાત કરવામાં આવશે. આ કારણે અંબાલા અને તેના સાથે જોડાયેલા 4 ગામોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ તરફ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ રાફેલ મામલે નામ ઉચ્ચાર્યા વગર જ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, ‘હિંદુસ્તાનનું આકાશ આજે રાફેલની ગર્જનાથી અને દેશનું માથું આજે ગૌરવથી ગૌરવવંતુ થયું છે. જો શોક હશે તો તે માત્ર ત્રણ જગ્યાએ હશે, ચીન, પાકિસ્તાન અને એક એમના ત્યાં જે સવારથી ટ્વિટ કરી રહ્યા છે.’

તેમણે જણાવ્યું કે, ‘જે લોકો રોજ સવારે ઉઠીને સેનાનું મનોબળ નબળું પાડે છે, કદીક દેશના સન્માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે. આવા લોકો કોઈ બીજા દેશની નાગરિકતા લઈ લેશે તો સારૂ રહેશે.’

ઉલ્લેખનીય છે કે ભારતે વાયુસેનાની શક્તિ વધારવા માટે સપ્ટેમ્બર 2016માં ફ્રાંસ સાથે આશરે 60 કરોડ રૂપિયાની રાફેલ ડીલ કરી હતી. તે અંતર્ગત ભારતને 36 રાફેલ ફાઈટર વિમાન મળવાના છે.

આ તરફ આ સોદા બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે રાફેલ ડીલની કિંમત વધુ રાખવામાં આવી છે જેથી કેટલાક લોકોને આર્થિક ફાયદો કરાવી શકાય. ગત વર્ષે લોકસભા ચૂંટણી વખતે પણ રાફેલ મુદ્દે રાજકારણ ખૂબ જ ગરમાયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.