રાજ્યમાં પગાર ન મળતાં વધુ એક શિક્ષકે કર્યો આપઘાત, 3 વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન

લોકડાઉન બાદથી શાળાઓ બંધ છે. અને જેને કારણે સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષકોને પગાર આપવામાં આવી રહ્યા નથી. જેને કારણે આર્થિક સંકડામણને કારણે વધુ એક શિક્ષકે જીવન ટૂંકાવી દીધું હોવાનો કિસ્સો રાજકોટના જેતપુરમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેતપુરના શિક્ષકે પોતાની વાડીમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જેને કારણે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, જેતપુરના ટાકુડી પરામાં રહેતા અને જૂનગાઢના જોષીપરાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા અતુલ મગનભાઈ ઠુંમર છેલ્લા 3 મહિનાથી શાળાએ નોકરી ઉપર ગયા ન હતા. અને છેલ્લા 10 દિવસથી ઘરની અંદર ગુમસુમ રહેતા હતા. સ્કૂલો બંધ હોવાથી પગાર મળતો ન હતો. ગત રોજ અતુલ તેના માતા પિતા બોરડી સમઢિયાળા પાસે આવેલ વાડીમાં ખેતીકામ કરવા માટે ગયો હતો. અહીં તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ઝેરી દવા પી લેવાને કારણે અતુલની તબિયત લથડી હતી. જે બાદ અતુલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ અહીં અતુલે દમ તોડી દીધો હતો. અતુલના ૩ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. પિતા મગનભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મારો દીકરો બેં સ્કૂલમાં નોકરી કરતો હતો. બંને સ્કૂલમાંથી એક પણ જગ્યાએથી પગાર મળ્યો ન હતો. જેથી તે ચિંતામાં રહેતો હતો. અમને પણ લાગ્યું હતું કે, તેણે આ વાતને મગજ પર લઈ લીધી છે. જેથી અમે તેને કહેતાં હતા કે તારે ઘરે એક રૂપિયો દેવાની જરૂર નથી. તેમ છતાં તેણે આ પગલું ભરી લીધું. તો અતુલની પત્નીએ પણ કહ્યું કે, સ્કૂલેથી પગાર ન મળતાં અને કોરોનાને લીધે બધું બંધ રહેતાં તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. અને તેને જ કારણે તેઓએ આપઘાત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.