પશ્ચિમ બંગાળમાં પાંચમી ઑગષ્ટે લૉકડાઉન, ભાજપે આ લૉકડાઉનને ‘કોમી’ ગણાવ્યુ

પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારે પાંચમી ઑગષ્ટે પોતાના રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી જેને ભાજપે સાંપ્રદાયિક કે કોમી લૉકડાઉન ગણાવ્યો હતો. આવતી કાલે એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિનું પૂજન કરવાના છે તો બીજી બાજુ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરાયાની પહેલી વરસી છે. આવા પ્રસંગે મમતાએ લૉકડાઉન જાહેર કરતાં ભાજપે એવો આક્ષેપ કર્યો હતો કે મમતા ઇરાદાપૂર્વક હિન્દુ લોકોની લાગણી સાથે રમત રમી રહ્યાં હતાં. આ પગલુ્ં લોકશાહીની અને હિન્દુ બહુમતીની લાગણી વિરોધી હતું.

મમતાના આ પગલાના વિરોધ રૂપે ભાજપ આજે સ્વામી વિવેકાનંદના માણિકતલામાં આવેલા ઘરથી શરૂ કરીને શ્યામબજાર સુધીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં વિરોધ યાત્રા યોજશે. ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ મમતાના આ નિર્ણયને કોમી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે બકરી ઇદના દિવસે લૉકડાઉનમાં છૂટ આપનારા મમતાએ રામ જન્મભૂમિ પૂજનના દિવસે લૉકડાઉન જાહેર કરીને પોતાની કોમી માનસિકતાનો પુરાવો આપ્યો હતો. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ નિર્ણયને વાજબી ગણાવ્યો હતો અને ભાજપના આક્ષેપોને નાપાયાદાર ગણાવ્યા હતા.

અત્યાર અગાઉ મમતાએ ઑગષ્ટના અંત સુધી દર અઠવાડિયે સપ્તાહના છેલ્લા બે દિવસને લૉકડાઉન તરીકે જાહેર કર્યા હતા. પરંતુ આ સપ્તાહે પહેલીવાર આવતી કાલે લૉકડાઉન જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે કેટલાક તહેવારોને ધ્યાનમાં રાખીને અમે લૉકડાઉનના પ્રોગ્રામમાં ફેરફાર કર્યા હતા. તદનુસાર હવે પાંચ ઑગષ્ટ, આઠ ઑગષ્ટ (જન્માષ્ટમી) 20 ઑગષ્ટ, 21 ઑગષ્ટ, 27 ઑગષ્ટ, 28 ઑગષ્ટ અને 31 ઑગષ્ટે લૉકડાઉન રહેશે.

મમતાએ બીજી ઑગષ્ટે ઇદ નિમિત્તે લૉકડાઉનમાં છૂટછાટ આપી હતી પરંતુ આવતી કાલે છૂટછાટ આપવાની ભાજપની વિનંતિને નકારી કાઢી હતી.  એની સામે ભાજપે સક્રિય વિરોધ નોંધાવ્યો હતો અને આજે વિરોધ મોરચો કાઢવાની જાહેરાત કરી હતી. સાથોસાથ એવી ખાતરી આપી હતી કે કોરોના સામે સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવા જે પગલાં સૂચવાયાં છે એનું પાલન મોરચા દરમિયાન અમે કરીશું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.