રેસ્ટોરન્ટ માંથી આખી રાત ફૂડ ડિલિવરી કરી શકાશે, પોલીસ રોકી શકશે નહીં: રૂપાણી

ગુજરાતમાં રાતે ૧૦ વાગ્યા પછી હોટલ- રેસ્ટોરન્ટમાંથી ફૂડ ડિલિવરી થઈ શકશે અને તેના માટે પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી અવરોધ સર્જી શકશે નહીં. ગુજરાત હોટેલ્સ- રેસ્ટોરન્ટ એસોસિયેશનની માંગણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કરતા સ્વાદના શોખીન ગુજરાતીઓ, મોડી રાતે જમવાનું શોધતા પ્રોફેશનલ્સ માટે આનંદની હેલી પ્રસરી છે.

ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેની સહીથી સોમવારે પ્રસિદ્ધ હુકમમાં જણાવાયુ છે કે, ”૧લી ઓગસ્ટથી રાત્રિ કરફ્યૂ નથી. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.

તે અનુસાર હોટલ અને રેસ્ટોરન્ટ્સ રાત્રીના ૧૦ કલાક સુધી ખુલ્લા રાખવાની જોગવાઈ કરવામાં આવી આવી છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને ટેક અવે (પાર્સલ સર્વિસ) પૂરી પાડવા માટે સમયની અવધિ દૂર કરવામા સરકારે નિર્ણય કર્યો છે” આ નિર્ણયથી રાજ્યમાં હોટલ- રેસ્ટોરા આખી રાત પોતાને ત્યાંથી ફૂડ ડિલિવરી કરી શકશે. જેનો અમલ હુકમ પ્રસિદ્ધ થતાંની સાથે જ ૧૭ ઓગસ્ટને સોમવારથી શરૂ થયો છે.

અગાઉ મોડી રાત સુધી પાર્સલ સર્વિસ સંદર્ભે કોઈ સ્પષ્ટતા ન હોવાથી અમદાવાદ જેવા શહેરોમાં હોટલ- રેસ્ટોરન્ટ અને મોડી રાતે જમવાનું શોધતા ગ્રાહકોને પોલીસ દ્વારા કનડગત થતી હતી. આ નિર્ણયથી ખાણીપીણી ઉદ્યોગ અને રોજગારીને પણ આંશિક રાહત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.