મધ્યપ્રદેશ સરકારનો નિર્ણય, MP માં સરકારી નોકરી માત્ર સ્થાનિકને જ મળશે, દેશભરમાં હવે પ્રાંતવાદ સળગશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સરકારી નોકરીને લઇને કાયદો બદલી રહ્યાં છે. હવેથી મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરતા કહ્યું કે આ માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કમલનાથ સરકારે સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

કમલનાથ સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં 7૦ ટકા સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના વતની હોવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ઉદ્યોગકારો સરકારી યોજનાઓ, કર મુક્તિનો લાભ ત્યારે જ મેળવી શકશે જ્યારે તેઓ મધ્યપ્રદેશના લોકોને રોજગારનો 70 ટકા ભાગ પૂરો પાડશે.

નોંધનીય છે કે રાજ્યની 27 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે, ઉલ્લેખનીય છે કે વિધાનસભાની પેટા-ચૂંટણી પહેલા સીએમ શિવરાજસિંહ ચૌહાણ ઘણી લોકપ્રિય જાહેરાતો કરી રહ્યા છે. આ અગાઉ સીએમ શિવરાજે જાહેરાત કરી હતી કે અમે આદિવાસીઓને શાહુકારોના ચુંગાલથી બચાવવા માટે નવો કાયદો લાવી રહ્યા છીએ.

વીડિયો સંદેશમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આજે મધ્યપ્રદેશની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ સરકારની નોકરી માત્ર મધ્યપ્રદેશના બાળકોને આપવામાં આવશે. આ માટે કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને સરકારી નોકરી માટે તક આપવાની માંગ સમયે-સમયે ઉભી થઈ છે. ઘણી ચૂંટણીઓમાં તેને મુદ્દો પણ બનાવવામાં આવ્યો છે. જોકે, કાયદાકીય પ્રક્રિયા કેટલા સમય સુધી પૂર્ણ થશે તે અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.