24 કલાકમાં દેશમાં કોરોનાના 55000 નવા કેસ, આંકડો 27 લાખને પાર પહોંચ્યો

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 હજાર નવા કેસ નોંધાયા હતા. એ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 27 લાખથી પણ વધુ થયો હતો. આશ્વાસન માત્ર એ વાતનું હતું કે છેલ્લા 24 કલાકમાં દેશના છ રાજ્યોમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નહોતું.

દુનિયાભરમાં કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો બે કરોડ 18 લાખના આંકડાને ઓળંગી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે મરણ  પામેલા લોકોનો આંકડો પોણા આઠ લાખને આંબી ગયો હતો. એક સમયે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો પોણા બે લાખનો થયો હતો જ્યારે ભારતમાં કોરોનાના કારણે મરણ પામેલા લોકોનો આંકડો 51,797નો થયો હતો.

લેટેસ્ટ સમાચાર મુજબ સાઉથ કોરિયાની રાજધાની સોલમાં એક ચર્ચના પાદરી સહિત એક સાથે કુલ 319 લોકો કોરોનાગ્રસ્ત થવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. ત્રણ હજાર લોકોને તત્કાળ ક્વોરંટાઇનમાં ખસેડવામાં આવ્યા હતા. પાદરી પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે એક રેલીમાં લોકોને ક્વોરંટાઇનના નિયમો તોડવા ઉશ્કેર્યા હતા.

ભારતની વાત પર પાછાં ફરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા છ રાજ્યોમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગભૂમિ અને સિક્કીમ- ઇશાન ભારતનાં આ છએ રાજ્યોમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. એમાંય મિઝોરમમાં તો આજ સુધીમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.

જો કે છેલ્લા 24 કલાકમાં કોરાનાગ્રસ્ત લોકોની સંખ્યામાં 55079નો વધારો થયો હતો જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 876નો નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 27 લાખ 2,743 કેસ નોંધાયા હતા. એમાંના 19 લાખ 77 હજાર 780 લોકો સાજા થઇને ઘેર પાછાં ફર્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.