પહેલી સપ્ટેમ્બરથી અનલોક-4, મેટ્રો ટ્રેન સેવા શરૂ થઇ શકે છે, સ્કૂલ-કોલેજો બંધ રહેશે

સપ્તાહના અંત સુધીમાં અનલોક-4ની નવી ગાઇડલાઇન જાહેર થશે, થિયેટરો પર પ્રતિબંધ જારી રહી શકે છે

આગામી પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-4ની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. જેને પગલે કેટલીક મહત્વની છુટછાટ મળી શકે છે. એવા અહેવાલો છે કે સરકાર મેટ્રો ટ્રેનોની સેવાને ફરી શરૂ કરવાની છુટ આપી શકે છે. જોકે સ્કૂલ અને કોલેજોને હાલ ખોલવાની છુટ ન મળે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત બારને ખોલવાની મંજૂરી હજુસુધી નહોતી મળી ત્યારે પહેલી સપ્ટેમ્બરે બારમાં દારૂના વેચાણની છુટ આપવામાં આવી શકે છે પણ દારૂ લઇને ઘરે લઇ જવાનો રહેશે. સાથે જ જે પણ શહેરોમાં મેટ્રો રેલ સેવા છે તેને પહેલી તારીખે શરૂ કરવાની છુટ આપવામાં આવી શકે છે. આ બધા જ પ્રતિબંધો માર્ચ મહિનામાં લાગુ કરવામાં આવ્યા હતા.

જોકે સરકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરતા પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં ઘણી સુવિધાઓ અને સેવાઓને ખોલવાની છુટ આપી છે ત્યારે હવે પહેલી સપ્ટેમ્બરથી અનલોક-4 શરૂ થવા જઇ રહ્યું છે. જેમાં મહત્વપૂર્ણ છુટ મેટ્રો રેલની મળી શકે છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સ્કૂલ કોલેજોને આગામી મહિનામાં ખોલવામાં નહીં આવે કેમ કે હજુ પણ કોરોના વાઇરસનો ખતરો ટળ્યો નથી અને કેસ દિવસે ને દિવસે બહુ જ ઝડપથી વધી રહ્યા છે.

જોકે જે આઇઆઇએમ અને આઇઆઇટી જેવી મોટી સંસૃથાઓ છે તેને ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે. શૈક્ષણિક સંસૃથાઓ અંગે હજુસુધી કોઇ જ અંતીમ નિર્ણય લેવામાં નથી આવ્યો. હાલ થીયેટરો પણ બંધ છે અને તેને પહેલી સપ્ટેમ્બરે ખોલવામાં નહીં આવે કેમ કે થીયેટરોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવું મુશ્કેલ બની શકે છે.

અનલોક-4ની ગાઇડલાઇન આ સપ્તાહના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવી શકે છે. ઓડિટોરિયમમાં થતા કાર્યક્રમો, મનોરંજનના પાર્ક, મેટ્રો રેલવે સેવા, થીયેટરો, બાર, સ્વિમિંગ પૂલ વગેરે પર હાલ પ્રતિબંધ છે, જ્યારે અનલોક-4માં તેમાં કેટલીક છુટ મળી શકે છે પણ રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોઇ છુટ આપવામાં ન આવે તેવી શક્યતાઓ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.