કોરોના મહામારી અને લોકડાઉનની અસર, દેશભરની IIT ના વિદ્યાર્થીઓ નોકરી ગુમાવી રહ્યાં છે

કોરોના મહામારીને કારણે આવી પડેલી પરિસ્થિતિએ અનેક નોકરી ઈચ્છુક વિદ્યાર્થીઓનો પણ ભોગ લીધો છે. દેશભરની વિવિધ આઈઆઈટીમાં પ્લેસમેન્ટ દરમ્યાન નોકરી મેળવેલાં વિદ્યાર્થીઓને સંબંધિત કંપનીઓ હવે કાં તો નોકરી આપવા તૈયાર નથી અથવા તો નોકરીમાં જોડાવા માટેની તારીખ સતત પાછળ ઠેલવ્યા કરે છે. કારણ લોકડાઉન ક્યારે પૂરું થશે, તેની કોઈ નક્કર શક્યતા દેખાઈ રહી નથી.

સૌથી કપરી સ્થિતિ આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓની છે કે જ્યાં આઠ કંપનીઓએ લોકડાઉનમાં ૨૮ વિદ્યાર્થીઓને આપેલી જોબ ઓફર પાછી ખેંચી લીધી છે. તો આઈઆઈટી-બોમ્બેમાં ૨૨ વિદ્યાર્થીઓ કે જેમને પ્લેસમેન્ટમાં જોબ મળી હતી. તેઓ પણ અત્યારે જોબલેસ બન્યાં છે. તેમાંના અમુક વિદ્યાર્થીઓએ અન્ય કંપનીમાં હાલ પૂરતી નાનીમોટી નોકરી સ્વીકારી લીધી છે. આઈઆઈટી મંડી અને આઈઆઈટી રુર્કીમાં પ્રત્યેકે એક તો આઈઆઈટી ગુવાહાટીમાં ત્રણ વિદ્યાર્થીઓએ નોકરી ગુમાવી છે. આઈઆઈટી દિલ્હીમાં પણ બે અંકી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નોકરી ગુમાવ્યાની માહિતી મળી છે. પરંતુ નિશ્ચિત સંખ્યા જાણી શકાઈ નથી.

કોરોના મહામારીને કારણે આઈઆઈટીના વિદ્યાર્થીઓને પણ ઘણી તકલીફ પડી રહી છે. કેટલાંક વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં નોકરી જોઈન કરી લેતાં હોય છે. પરંતુ આ વર્ષે પરીક્ષામાં વિલંબ અને લોકડાઉનને કારણે હવે સીધાં જાન્યુઆરી ૨૦૨૧માં તેમને જોડાવાનું કંપનીઓ દ્વારા કહેવાયું છે. જોકે છતાંય કંપનીઓ વિદ્યાર્થીઓને નોકરીનું આપેલું વચન પાળી શકશે કે કેમ તે બાબતે વિદ્યાર્થી અને સંસ્થાઓ બંનેમાં ચિંતાનું વાતાવરણ છે.

અધિકાંશ આઈઆઈટીસમાં ડિસેમ્બર, ૨૦૧૯માં પ્રથમ ફેસમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત વિદ્યાર્થીઓની સંખ્યા નોંધનીય હતી. જ્યારે મહામારીને કારણે જાન્યુઆરીના પ્લેસમેન્ટને ખાસ સફળતા મળી નહોતી. ખાસ આઈઆઈટી મુંબઈની વાત કરીએ તો પ્રથમ તબક્કાના પ્લેસમેન્ટમાં છેલ્લાં અનેક વર્ષોમાં સૌથી ઉંચો આંકડો કહી શકાય તેમ ૧,૧૭૧ વિદ્યાર્થીઓને નોકરી અપાઈ હતી. તેને બદલે બીજા તબક્કામાં મહામારીને કારણે માત્ર ૩૬ વિદ્યાર્થીઓ જ પ્લેસમેન્ટમાં જોબ ઓફર મેળવી શક્યાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.