સુરતના હજીરામાં ONGC ટર્મિનલ પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી

સુરતની હજીરા સ્થિત ONGC કંપનીમાં વહેલી સવારે એક પછી એક 3 બ્લાસ્ટ થયા હતા. બોઈલરમાં લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ONGC નજીકની ઈમારતો ધ્રૂજી ઉઠી અને સાથે જ સુરત, હજીરા, રિલાયન્સની ફાયરબ્રિગેડ, ક્રિભકો અને NTPCની ટીમ પણ પહોંચી ગઈ હતી. હાલમાં બ્લાસ્ટ બાદ 4 વ્યકિત ગૂમ થયાના સમાચાર મળી રહ્યા છે.

કોરોનાની મહામારીથી ફફડી રહેલા લોકોની હજુ તો કળ વળી નથી ત્યાં તો આજે મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં હજીરા વિસ્તારમાં આવેલી ઓએનજીસીના ટર્મિનલ પ્લાન્ટમાં વારાફરતી ત્રણ પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.

આગ પર કાબૂ લેવા માટે 300 મીટર દૂરથી પાણી-કેમિકલ ફોમનો મારો ચલાવાઈ રહ્યો છે. સુરત આવતી બોમ્બે હાઈ ગેસની પાઈપલાઈનના ટર્મિનલમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર પાઇપ લાઈન પેટ્રોલિયમ લીક્વિડથી ભરાયેલી હતી ત્યારે ઘટના બની હતી. આગ બાદ ચીમનીમાંથી વધુ ગેસ છોડવાનો શરૂ કરાયો હતો. અત્યારે 3 કર્મચારી અને 1 સુરક્ષાકર્મી લાપતા  હોવાના સમાચાર મળ્યા છે.

આ આગ એવી તો ભયાનક હતી કે આજુબાજુના ગ્રામજનો ડરી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને કંપનીમાં હાજર કેટલા લોકોને અસર થઇ, કેટલી જાનહાનિ થઇ તે વિશે કોઈ માહિતી મળી નથી પરંતુ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ અને કંપનીની ફાયર ફાઈટરો કામ લાગી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.