પીડિતાના પરિવારે કહ્યુ, પોલીસ પર નથી ભરોસો, સુપ્રીમ કોર્ટના જજની નજર હેઠળ તપાસ થાય

યુપીના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ કરીને તેની હત્યા કરવાના મામલાએ આખા દેશમાં ઉભા કરેલા વિરોધ વંટોળ વચ્ચે પીડિતાના પરિવારજનોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.

પરિવારજનોએ કહ્યુ હતુ કે, સરકારે તપાસ માટે જે ટીમ બનાવી છે તે જ બળાત્કારના આરોપીઓ સાથે મળેલી છે.આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ કરવામાં આવે.પીડિતાની માતાએ કહ્યુ હતુ કે, પોલીસ સમક્ષ મેં ભીખ માંગી હતી પણ મારી પુત્રીનુ શરીર અમને જોવા મળ્યુ નહોતુ.અમે સીબીઆઈની તપાસ નહીં પણ સુપ્રીમ કોર્ટના જજની નજર હેઠળ સમગ્ર મામલાની તપાસ થાય તેમ ઈચ્છી રહ્યા છે.

પરિવારજનોએ યુપી સરકાર દ્વારા નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણીને ફગાવી દઈને કહ્યુ હતુ કે, અમે નાર્કો ટેસ્ટ શેના માટે કરાવીએ ..અમે ક્યારેય અમારા નિવેદનથી પાછા હટ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ બાદ તંત્રે મીડિયાને હાથરસમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.એ પછી મીડિયા સાથે વાતચીતમાં પરિવારે કહ્યુ હતુ કે, એ રાતે જેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે મૃતદેહ અમારી પુત્રીનો નહોતો.અમે તો મૃતદેહ જોયો જ નથી.નાર્કો ટેસ્ટ કરાવવો હોય તો પોલીસ વડા અને કલેક્ટરનો કરાવો.આ લોકો જ જુઠ્ઠુ બોલી રહ્યા છે.

યુવતીના ભાભીએ કહ્યુ હતુ કે, ગુરુવારે તપાસ ટીમ અમારી ઘરે કલાકો સુધી રોકાઈ હતી.જિલ્લા મેજિસ્ટ્રેટ તો કહી રહ્યા હતા કે, અમારી દીકરીનુ મોત કોરોના વાયરસથી થયુ હોવાથી પરિવારને બહાર જતો અટકાવાઈ રહ્યો છે.આમ અધિકારીઓ જ એક પછી એક જુઠ્ઠુ બોલી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.