અમદાવાદ બાદ ગુજરાતભરમાં ફરીથી લોકડાઉન થશે? શું કહ્યું સીએમ રૂપાણીએ જાણી લો…

કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે અમદાવાદમાં તકેદારી રૂપે શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં કરફ્યુ લંબાશે તેવી દહેશતે ખરીદી માટે લોકોની ભીડ દેખાઈ રહી છે. બીજી બાજુ લોકોમુખે એવી ચર્ચા થઈ રહી છે કે અમદાવાદ બાદ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો કર્ફ્યુ લાદવામાં આવશે.

આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય, માત્ર વિકેન્ડ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે વીક એન્ડમાં કરફ્યુ લાદ્યાનુ નિવેદન આપ્યુ છે.

અંબાજીમાં મા અંબાના દર્શન બાદ તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે કોરોના સામે લડવા માટે સરકાર સજ્જ છે. સાથે જ લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરાઇ હતી. તો શાળાઓ શરૂ કરવાના મુદ્દે કહ્યુ હતુ કે આગામી બેઠકમાં હવે શાળાઓ ક્યારે શરૂ કરવી તેનો નિર્ણય લેવાશે. રાજ્યમા કોરોનાનુ સંક્રમણ વધ્યાનો તેમણે સ્વીકાર કર્યો હતો.

અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 57 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે દિવાળી દરમિયાન ખરીદી વખતે લોકોની બેદરકારી, કોરોના જેવું કંઇ છે નહીં તેવી અનેક લોકોની બેજવાબદાર માનસિક્તાને પગલે ગુજરાતમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું છે અને દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતી સર્જાઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1 હજાર 340 નવા કેસ નોંધાયા છે. આમ, પ્રત્યેક કલાકે 22થી વધુ વ્યક્તિ સંક્રમણમાં સપડાઇ રહી છે. ગુજરાતમાં 7 ઓક્ટોબર એટલે કે 43 દિવસમાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે 1300ની સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 7 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3 હજાર 830 છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.