નદીની રેતમાં રમતું નગર થંભી ગયું: અમદાવાદ કર્ફ્યૂમાં સૂમસાન બન્યું, રસ્તાઓ ખાલીખમ

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે, ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસાન ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા ઉમટ્યા હતા, તે જગ્યાઓ આજે સૂમસાન બની છે.

રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી.

કરફ્યૂને પગલે જમાલપુર બ્રિજની નીચેનો વિસ્તાર સૂમસાન બન્યો છે. કરફ્યૂના એલાનને પગલે કાલે શહેરીજનો મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે આ જમાલપુર બ્રિજ પણ સૂમસાન બન્યો છે. રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે. વહેલી સવારે ફરફ્યુના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા છે.તો આજે કરફ્યૂ લાગી ગયા બાદ અમદાવાદનું જમાલપુર ફૂલ બજાર સંપૂર્ણ બંધ છે.

કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને ચેક કરી પૂછપરછ કરી અંદર આવવા દેવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.