ભાભીને નણંદ સાથે ઝઘડો થતા, ભાભીએ પોતાની ચાર વર્ષ અને છ માસ એમ બે માસુમ દીકરીઓને, કડાદરા નર્મદા કેનાલમાં ફેંકી દીધી

ભાભીને નણંદ સાથે ઝઘડો થતા ભાભીએ પોતાની ચાર વર્ષ અને છ માસ એમ બે માસુમ દીકરીઓને કડાદરા નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ઉંડી શોધખોળ બાદ એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દહેગામ તાલુકાના આંત્રોલી ગામે રહેતા સિધ્ધરાજસિંહ રંગતસિંહ સોલંકીના લગ્ન 2014માં હાલીસા ગામની શિલ્પા સાથે થયા હતા. . રવિવારે શિલ્પાબેન સાસરીમાં હતા તે સમયે નણંદ સરોજબેન સાથે દીકરીઓને નાસ્તો કરાવવા બાબતે કંકાસ થયો હતો. ત્યારબાદ શિલ્પાબેન સાસુના બ્લાઉઝ સિવડાવવા જવાનું કહીં 2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા.

સાંજે 4 વાગ્યે નર્મદા કેનાલના પુલ પરથી માતાએ માસૂમ 4 વર્ષની પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાને કેનાલમાં ફેંકી દીધી હતી. 2 માસૂમ દીકરીઓને કેનાલમાં ફેંકી દેવાની ઘટના બાદ માતા શિલ્પાબેને પોલીસ કંટ્રોલરૂમમાં દીકરીઓ અપહરણની વાત કરી હતી.

જેમાં પોતે દીકરીઓ સાથે ટ્રકમાં બેસી આવી રહ્યા હતા અને ટ્રકનો ડ્રાઈવર શિલ્પાબેનને ઉતારી બે માસૂમ પુત્રીઓનુ અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાની જાણ કરી હતી.

સિદ્ધરાજસિંહ સહિતના લોકો કેનાલ પાસે પહોંચ્યા ત્યારે નજીકમાં આવેલા ગલ્લા પરથી એક વ્યક્તિએ આવી આખો ભાંડો ફોડ્યો હતો. એ ભાઇએ જણાવ્યું હતું કે, આ સ્ત્રીએ 2 નાના બાળકોને કેનાલમાં નાંખી દીધા છે. જે બાદ પતિએ કડક શબ્દોમાં પત્ની સાથે વાત કરતાં પત્ની આખી ઘટના જણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.