આ વરસે રૂપેરી પડદે અમિતાભ બચ્ચન તેમજ ખાન ત્રિપુટીનો જાદુ ન ચાલ્યો

– કોવિડ-19ના કારણે બોલીવૂડને રૂા.3500 કરોડનો ફટકો

૨૦૨૦ની શરૂઆતમાં અજય દેવગણ અને સૈફ અલી ખાનની ફિલ્મ તાન્હાજી : ધ અનસંગ વોરિયર રિલીઝ થઇ હતી. ત્યારે તેની સફળતાની પાર્ટી કરવામાં આવી હતી. વરસ ૨૦૨૦ની બોલીવૂડ માટે શુભ શરૂઆત રહી તેવું મનાઇ રહ્યું હતું. પરંતુ એ પછી કોરોના વિશ્વમાં એવો ત્રાટક્યો કે દુનિયા જાણે થંભી ગઇ હતી. એવામાં બોલીવૂડને રૂપિયા ૩૫૦૦ કરોડનો ફટકો પડી ગયો છે.

અક્ષય કુમારની સૂર્યવંશી, રણવીર સિંહની ૮૩, વરુણ ધવનની કુલી નં. વન  અને સલમાન ખાનની રાધે સહિત અન્ય ફિલ્મો માટે ઘણી આશાઓ હતી. આ ઉપરાંત જોન અબ્રાહમ, ઇમરાન હાશ્મી અને સુનીલ શેટ્ટીની મુંબઇ સાગા, જોનની સત્યમેવ જયતે ટુ, અજય દેવગણની ભુજ ઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા અને મેદાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માશ્ત્ર, આમિર ખાનની લાલ સિંગ ચડ્ડા  જેવી ફિલ્મો રૂપેરી પડદે રિલીઝ થવાની હતી.

દુર્ભાગ્યવશ, ટાઇગર શ્રોફની બાગી ૩ પછી કોઇ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ કમાણી કરી શકી નહીં. આ ફિલ્મ બીજા અઠવાડિયા સુધી થિયેટરમાં ટકી રહી અને રૂપિયા ૯૫ કરોડનો બિઝનેસ કર્યો આ પછી માર્ચના મધ્યથી ઓકટોબર સુધી થિયેટરો બંધ રહ્યા.

થિયેટરો ખુલ્લા પછી પણ ખાસ ફરક પડયો નથી. આ દરમિયાન  મનોજ બાજપાયી અને દિલજીત દોસાંઝની સૂરજ પે મંગલ ભારી, કિયારા અડવાણીની ઇંદુ કી જવાની અને રિયા ચડ્ઢાની શકીલા જેવી ફિલ્મો રિલીઝ થઇ પરંતુ બોક્સ ઓફિસ પર ખાસ પ્રતિસાદ મળ્યો નહીં.

આના બદલે લોકોએ ઓટીટી પ્લેટફોર્મનો વિકલ્પ અપનાવ્યો. જેમાં અમિતાભ અને આયુષ્માન ખુરાનાની ગુલાબો સિતાબો, અક્ષય કુમારની લક્ષ્મી અને વરુણ ધવનની કુલી નંબર વન સામેલ છે જેને ખાસ રિસપોન્સ મળ્યો નથી.

હવે આ વાતની ચિંતા વધી ગઇ છે કે, જો સિનેમાઘરોમાંથી થનારા બિઝનેસ આગળ નહીં વધે અથવા તો દર્શકો ઘર બેસીને ફિલ્મો જોવાનો વિકલ્પ પસંદ કરશે તો  શું થશે ?

એક મીડિયા રિપોર્ટના અનુસાર ૨૦૨૦માં બોલીવૂડ બોક્સ ઓફિસને રૂપિયા ૩૫૦૦ કરોડથી પણ વધુ નુકસાન થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.