દિવાળી ની રજાઓમાં ઘરફોડ ચોરી રોકવા ગાંઘીનગર પોલીસે અજમાવ્યો આ નવો નુસખો,જાણો વિગતે

દિવાળીના તહેવારોમાં ગાંધીનગરમાં રહેતા પરિવારોમાંથી અડધો અડધ પરિવાર પોતાને વતન ઉપડી જાય છે ત્યારે ચોરો અને તસ્કરો માટે ઘરફોડ ચોરી અને લૂંટ કરવાની જાણે સિઝન આવે છે પણ આ વખતે ગાંધીનગર પોલીસે સાઈરન લોકથી આવા લોકો સામે રક્ષણની એક અનોખી જ પધ્ધતિ શોધી કાઢી છે. ગાંધીનજરમાં અત્યારસુધીમાં આ માટે 20 સાઈરન લોક આપવામાં આવ્યા છે. 

  • દિવાળીમાં ગાંધનગરવાસીઓ માટે સાઈરન લોક
  • પોલીસ સતત કરશે પેટ્રોલિંગ
  • મુકાશે હોમગાર્ડ પોઈન્ટ

ગાંધીનગરમાં પોલીસ દ્વારા દિવાળીના તહેવારોમાં બહારગામ જતા લોકો માટે સાઈરન લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરમાં અત્યાર સુધીમાં આવા 20 લોક આપવામાં આવ્યા છે. 

કયાં અપાયા છે સાઈરન લોક
ગાંધીનગરના સેકટર 7 અને 21માં 300 રૂપિયાની નોમીનલ ડિપોઝીટથી સાઈરન લોક આપવામાં આવ્યા છે. લોક પરત કરતા આવી ડિપોઝીટ પરત મળશે. 

કેવુ છે આ સાઈરન લોક
પોલીસ તરફથી મળી રહેલુ આ સાઈરન લોક જો કોઈ ચાવી વગર ખોલવાની અને તોડવાની કોશિશ કરે તો તુરંત જ જોર જોરથી સાઈરન વાગવા માંડે છે જેથી આસપાસના રહીશો અને બીજા લોકોને જાણ થઈ જાય છે કે કોઈ ઘરમાં જબરજસ્તી ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. 

કેવી રીતે મળશે આ લોક
આ માટે એક અરજી કરવાની છે. જેમાં પોતાના ઘરનું સરનામું અને તે ક્યાં સુધી બંધ રહેશે તેની વિગતો લખવાની હોય છે. આ અંગે પોલીસને સુરક્ષા માટે અરજીથી જાણ કરવાની હોય છે. જેને પગલે પોલીસ આવી અરજીઓના આધારે ઘર નંબર સાથે જ પેટ્રોલિંગમાં રહેલાં સ્ટાફને જાણ કરી દે છે.

500 રૂપિયામાં તમે આજીવન આ લોક વસાવી શકો છો
ધોરણે લોક વસાવવા માંગતા નાગરિકોને સુરક્ષાસેતુ અંતર્ગત બજારમાં 700થી વધુ કિંમતે મળતું આ લોક 500 રૂપિયામાં આપવામાં આવે છે. દિવાળીના તહેવારને લઇને નાગરીકોને સાયરન લોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. ગાંધીનગરમાં સેક્ટર-7,21 અને ઈન્ફોસિટીમાં આવા 10-10 લોક અપાયા છે.

એક વિસ્તારમાં 1 કરતા વધુ ઘર હોય તો પોલીસ હોમગાર્ડ પોઈન્ટ જ મુકશે
એક જ વિસ્તારમાં એક કરતાં વધુ ઘર હોય તો ત્યાં હોમગાર્ડનો પોઈન્ટ જ મુકી દે છે. જે 2-3 ઘરોની વારાફરતી તપાસ કરે છે. તેથી આગામી દિવાળીના તહેવારમા લોકો બહારગામ જાય ત્યારે તેમના બંધ મકાનની સુરક્ષા જળવાય તે માટે પોલીસ તરફથી આવુ આયોજન કરવામા આવ્યુ છે.

જો બહારગામ જવાના હોય તો શું કરવુ
જિલ્લા પોલીસે ઘરની સુરક્ષામાં રહીશોને સુચના આપી છે કે, મકાન બંધ કરી ચાવી આસપાસ છુપાવવાનું ટાળવું જોઈએ. બંધ મકાન અંગે પાડોશીને તકેદારી લેવા જાણ કરવી તથા શક્ય હોય ત્યાં સુધી ઘરમાં દાગીના-રોકડ રાખવી નહીં.પોતાના વિસ્તાર કે આસપાસના ઘરમાં ચોર નજરે પડે તો સીધી બાથ ભીડવા કરતાં બીજા લોકોને સતર્ક કરીને પોલીસને જાણ કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.