રિયાલિટી ચેક : વલસાડનાં સાંસદે દત્તક ગામમાં શેના પર ગાદલા નાખીને શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર,વાંચો સમગ્ર લેખ..

શું તમને ટેબલ પર સૂઈને સારવાર લેવાનું કહે તો લેશો?

ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં કોરોના કહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહયું છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ પર કાબૂ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન ચલાવવામા આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગામેગામ કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે. પરંતુ, વલસાડ જિલ્લાના છેવાડાના ગામમાં જે વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે તે અપૂરતી જોવા મળી રહી છે. વલસાડના સાંસદ કે.સી.પટેલે દત્તક લીધેલા ગોઈંજ ગામની શાળામાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ખાટલા ના મળતા કેટરિંગના ટેબલ પર જ ગાદલાં પાથરી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હોવાનું બહાર આવ્યું છે.

કલેકટરના આદેશ બાદ ગામેગામ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા;
રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી ગયું છે.. જેને કાબુમાં કરવા વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરે જિલ્લાના તમામ 467 ગામોના સરપંચોને સહયોગ આપવા પત્ર લખી અપીલ કરી હતી ..જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના 467 ગામમાંથી 409 ગામોમાં શાળાઓમાં કોવિડ કેર આઈસોલેશન સેંટર શરૂ કરવામાં આવ્યા છે.

વિલેજ વોરિયર્સ’ કમિટીની રચના કરવામા આવી;
તમામ ગામોમાં ‘વિલેજ વોરિયર્સ’ કમિટીની રચના કરવામાં આવી છે.આ વિલેજ વોરિયર્સ કમિટીમાં ગામના સરપંચ, તલાટી ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ પ્રાથમિક શાળાના શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગામના સેવાભાવી યુવકોને આ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે ..જેના સંચાલન હેઠળ ગામમાં શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો અને આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે.. તંત્રના દાવા મુજબ વલસાડ જિલ્લામાં 409 ગામોમાં સેન્ટરો શરૂ થઈ ગયા છે. અને આ સેન્ટરોમાં કેટલાક મોટા સેન્ટરોમાં ઓકસિજન ની સુવિધાઓનો પણ ઉભી કરવામાં આવી છે. જોકે ગામની શાળાઓમાં તંત્રના દાવા મુજબ ગામની વસ્તી પ્રમાણે કોરોનાના સંક્રમિત દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.. અને અત્યારે જિલ્લાના લગભગ તમામ ગામોમાં સેન્ટ્રરો કાર્યરત છે. તેવા વલસાડ જિલ્લા વહીવટી તંત્રના દાવા કરવામાં આવ્યા હતા.

આદર્શ ગામ ગોઈમાનું કોવિડ કેર સેન્ટર ખાલીખમ;
​​​​​​​વલસાડ જિલ્લાના પારડી તાલુકા નું સૌથી મોટું ગામ ગોઈમા છે. જેને વલસાડ-ડાંગ ના સાંસદ ડૉ કે સી પટેલ એ આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું હતું. આ ગામ માં પણ હાલત ખરાબ છે. ગોઈમા ગામમાં સાત હજારથી વધુની વસતિ છે. પરંતુ તંત્ર દ્વારા ગામની શાળામાં માત્ર 14 કેટરિંગના ટેબલ પર ગાદલા નાખી અને કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાનો દેખાડો જ કરવામાં આવી રહ્યો છે. જોકે આ સેન્ટર શરૂ થયાથી આજ સુધી એક પણ દર્દી આવ્યું નથી. આથી ખાલીખમ દેખાઈ રહ્યા છે. જોકે ગામના લોકોના કહેવા પ્રમાણે સેન્ટરો ખાલી રહેવાનું મુખ્ય કારણ ગામના લોકોમાં જાગૃતિનો અભાવ છે. ગામડાઓમાં રહેતા લોકો સામાન્ય તાવ કે કોરોના રોગની શરૂઆતથી દિવસોમાં બેદરકારી દાખવે છે. અને દવાખાને જવા કે સેન્ટર સુધી જવાને બદલે ઘરેજ પડી રહે છે. તેને કારણે દર્દીની તબીયત લથડે છે. અને રોગ વધારે ગંભીર સ્વરૂપ લે છે અને ગામમાં મોટા પાયે કોરોના સંક્રમણ ફેલાય છે.. આમ લોકોની જાગૃતિના અભાવે જ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા સેન્ટરોમાં લોકો જતા નથી. તેવું સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.

લોકો સારવાર માટે જાગૃત બને તે જરુરી;
​​​​​​​વલસાડ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી ગયું છે.. જેને કાબુમાં કરવા વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહ્યા છે.. જો કે શહેરી વિસ્તારોમાં હોસ્પિટલ અને અન્ય સુવિધા સાથે કોરોના ટેસ્ટિંગ પણ સરળતાથી થઈ શકે છે ..અને રસી પણ મળી રહે છે. આથી શહેરી વિસ્તારોના લોકોમાં જાગૃતિ છે.પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વિપરીત છે ..લોકોમાં જાગૃતિના અભાવને કારણે કોઈ તબિયત લથડી નહીં ત્યાં સુધી દર્દીઓ ઘરે જ પોતાને આઇસોલેટ કરે છે અને રોગને છુપાવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા મોટાભાગના ગામોમાં સર્વે નહીં થતો હોવાનું અને ગામમાં ઉભા કરવામાં આવેલા રસીકરણ કેન્દ્ર પર રસીનો પૂરતો જથ્થો પણ પહોંચતો નથી.. જેને કારણે રસી લેવા કેન્દ્ર પર પહોંચતાં લોકોએ પણ વીલા મોઢે રસી લીધા વિના જ પાછા ફરવું પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.