દિવાળી: સરકારનો મહત્વનો નિર્ણય , ૬૦થી વધુ ઉંમરની મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર કરાઈ

રાજ્યની સંવેદનશીલ સરકારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.  આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દિવાળીના શુભ પર્વે રાજ્ય સરકારના સ્તુત્ય નિર્ણયથી નાગરીકોને વાકેફ કરતાં જણાવ્યું છે કે, કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે તારીખ ૨૫/૧૦/૨૦૧૯થી તારીખ ૦૧/૧૧/૨૦૧૯ સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઇને પેરોલ પર જઈ શકશે.

જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ઉક્ત નિર્ણય અનુસાર સંબંધિત સત્તાધિકારીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે જેની અમલવારી થઇ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.