ભારતમાં આર્થિક સુસ્તી છે પરંતુ તે અસ્થાયી; થોડા સમયમાં સુધારો દેખાશે: મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વીકાર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનો ગાળો છે. જોકે તેમણે આ ગાળો અસ્થાયી જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે સરકારે વર્તમાનમાં જે નિર્ણયો લીધા છે તેનાથી આગામી ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાને તેજી મળશે. સાઉદી અરબના શહેર રિયાધમાં આયોજિત વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ- ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવને સંબોધિત કરતી વખતે મુકેશ અંબાણીએ આ વાત કહી હતી.

29થી 31 ઓક્ટોબર સુધી આયોજિત આ કાર્યક્રમના મુખ્ય વક્તા પીએમ નરેન્દ્ર મોદી હતા. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી સહિત ઘણા દિગ્ગજ ભારતીય બિઝનેસમેન પણ સામેલ થયા હતા. મુકેશ અંબાણીએ મંગળવારે આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું, ”હા, ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી સુસ્તી જરુર છે પરંતુ મારું માનવું છે કે તે અસ્થાયી છે. છેલ્લા અમુક મહિનાઓમાં સુધારના જે ઉપાય કરવામાં આવ્યા છે તેનું પરિણામ દેખાશે અને મને પૂરો ભરોસો છે કે આગામી ત્રિમાસિકમાં પરિસ્થિતિ બદલશે. ”

તેમણે પીએમ મોદી, સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ અને તેમના પુત્ર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હવાલો આપતા કહ્યું કે તેમની ઉપર એવું નેતૃત્વ છે જે ગતિ આપનાર છે. બન્ને દેશોમાં એવું નેતૃત્વ છે જે સમગ્ર દુનિયામાં અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે સાઉદી અરબે છેલ્લા 2-3 વર્ષમાં જબરદસ્ત બદલાવ જોયા છે. અંબાણીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથ રેટમાં છેલ્લા પાંચ મહિનાથી કડાકો દેખાઇ રહ્યો છે. એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં તો એ 5 ટકા જેટલો થઇ ગયો છે જે ગત વર્ષે 8 ટકા હતો. 2013 બાદ આ સૌથી ઓછી ગ્રોથ રેટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.