ગાંધીનગરમાં પુત્રએ કેનાલમાં ઝંપલાવતા બચાવવા જતા પિતા નું પણ મોત..

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના નભોઈ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ તેના પિતાને થતાં તેઓ પણ દીકરાને બચાવવા માટે કેનાલોમાં કૂદી ગયા હતા અને આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકો એકઠા થઇ ગયા હતા. દીકરાની પાછળ પિતા પણ કેનાલમાં કૂદી ગયા હોવાથી બંને કેનાલમાં ડૂબવા લાગ્યા હતા. તેથી આસપાસના સ્થાનિક લોકોએ તેમને બચાવવાના ખુબ પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિને બચાવી શક્યા ન હતા. કેનાલમાં ડૂબી જવાથી પિતાનું મોત થયું હતું અને તેમની લાશ સ્થાનિક લોકો અને પોલીસને મળી આવી હતી. તો બીજી તરફ આપઘાત કરવા માટે નર્મદાની કેનાલમાં પડેલા યુવકનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. તેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર પ્રદીપસિંહ ડાભી નામના વ્યક્તિ ગાંધીનગરના સુધડ દરબાર વાસમાં રહેતા હતા. તેઓ પંચાયત કચેરીમાં ઈલેક્ટ્રીકનું કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રદીપસિંહ ડાભીને 19 વર્ષનો પુત્ર હતો અને તેનું નામ સૌરભ હતું. સૌરભે કોઈ કારણોસર નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ વાત તેના પિતા પ્રદીપસિંહને જાણવા મળતા તેઓ પણ તાત્કાલિક પોતાની એકટીવા લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પ્રદીપસિંહે ડૂબી રહેલા દીકરાને બચાવવા માટે પોતાના ચપ્પલ કાઢી કેનાલની અંદર ઝંપલાવ્યું હતું. ત્યારબાદ બંને પાણીની અંદર ડુબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને સૌરવ અને પ્રદીપસિંહને બચાવવાના ખુબ જ પ્રયાસો કર્યા હતા.

ઘટનાના થોડા સમય બાદ જ ઉંડા પાણીમાં પિતા અને પુત્ર ગરકાવ થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરની ટીમ દ્વારા કેનાલમાં ઝંપલાવીને પિતા-પુત્રની શોધખોળ કરવામાં આવી હતી. તો ફાયર બ્રિગેડના જવાનોની શોધખોળ દરમિયાન પ્રદીપસિંહનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. તો બીજી તરફ સૌરભ ગુમ હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પ્રદિપસિં ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેનાલમાં આપઘાત કરવા માટે પડેલા સૌરભની શોધખોળ શરૂ છે. દીકરાને બચાવવા માટે કેનાલમાં પડેલા પ્રદિપસિંહના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.