સુરતમાં લોકડાઉનમાં વતનમાં ગયેલા પરિવારનું મકાન ઠગે પચાવી પાડ્યું અને માલિક બની ગયો….

સુરત ડિંડોલીમાં આવેલી એક સોસાયટીના બંધ મકાનમાંથી કબજા રસીદ સહિતની ફાઇલો ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે મનપા કચેરીમાં નામ ચઢાવી દેવાયું હતું અને આ મામલે ત્રણ મહિલા સહિત સાતની સામે ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ પલસાણાના વરેલી ગામમાં કૃષ્ણાપ્લાઝામાં રહેતી શિલાદેવી સૂર્યનાથ પાંડેએ ડિંડોલીમાં વૃંદાવન હાઉસીંગ સોસાયટી-2માં 179 નંબરનું મકાન ખરીદ્યું હતું. લોકડાઉનમાં તેઓ સમગ્ર પરિવાર સાથે વતન ચાલ્યા ગયા હતા.અને ત્યાંથી પરત આવીને પલસાણામાં રહેતા હતા. બે મહિના પહેલા તેઓ ડિંડોલીનું મકાન જોવા આવ્યા ત્યારે દરવાજામાં મારેલું તાળુ બદલાયેલું હતું. લોક તોડીને તપાસ કરતા અંદરથી મકાનની ઓરીજનલ ફાઇલ સહિતના દસ્તાવેજો ચોરી થયા હતા.

આ મામલે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત મનપામાં તપાસ કરતા તેમાં સંજીવ સુરેન્દ્ર બહાદુરસિંગનું નામ માલિક તરીકે બતાવ્યું હતું.અને આ મકાન રમાશંકર ચૌધરી નામના ઇસમે સંજીવ બહાદુરસિંગને વેચાણથી આપી દીધું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે મંગલ રામશિરોમણી યાદવ, સરીતાદેવ રમાશંકર ચૌધરી, રમાશંકર ચૌધરી, પાયલબેન રમાશંકર ચૌધરી, શૈલેષ શીવલાલ પુજારા, સંજીવસિંહ બહાદુરસિંહ તેમજ મીતાબેન પંચાલની સામે ફરિયાદ નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.