દેશમાં ફરી કોરોનાએ માથું ઉંચકતા મોદી સરકાર આવી એક્શનમાં, આજે 12 વાગ્યે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે PM કરશે બેઠક

ભારતમાં એક વાર ફરી કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે પરિસ્થિતિ વધારે ગંભીર ના બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની મહત્વની બેઠક બોલાવી છે.અને આ બેઠકમાં પીએમ મોદી દેશભરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. કાર્યક્રમ અનુસાર પીએમ મોદીની આ બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે.

કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પ્રથમ મુલાકાત છે.અને આ રીતે અગાઉ પણ પીએમ મોદી સમયાંતરે સીએમ સાથે કોરોનાની સ્થિતિ પર વાતચીત કરતા રહ્યાં છે.

આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ સહિતના પીએમઓના અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.

ભારતમાં હાલમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જે ચોથી લહેરનો સંકેત છે. છેલ્લા એક સપ્તાહથી દરરોજ નવા કેસની સંખ્યા વધી રહી છે. વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના નવા પ્રકારોના ઉદભવની આશંકા વ્યક્ત કરી છે,અને જે વધુ ચિંતાનો વિષય છે કારણ કે આ પ્રકાર ઝડપથી એક વ્યક્તિને બીજામાં ચેપ લગાડે છે.

દેશમાં 11 અઠવાડિયાના સતત ઘટાડા બાદ કોરોનાના કેસમાં છેલ્લાં બે અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત 2500 થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તારીખ 18 થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. ગયા સપ્તાહથી તેમાં 95 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસોમાં હવે 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે અને જે ગયા સપ્તાહ સુધી માત્ર 3 રાજ્યોમાં હતો. ત્યાર બાદ અનેક રાજ્યોએ ફરીથી નવા નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.