ગુજરાતને જીતવા માટે માઇક્રો મેનેજમેન્ટ પર ભાજપનું ધ્યાન, આ રાજ્યોના નેતાઓને મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોત-પોતાની રીતે પ્રચાર તેજ કરી દીધો છે. ભાજપે પણ આ લડતની તૈયારીઓમાં પોતાનું પૂરેપૂરું બળ લગાવી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ હોય કે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના તમામ નેતાઓ ગુજરાત ચૂંટણી માટે મિશન મોડમાં છે. તેઓ એક પછી એક ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. તે જ સમયે, ગુજરાતમાં વિજય નોંધાવવા માટે, ભાજપે માઇક્રો મેનેજમેન્ટની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ રણનીતિના ભાગરૂપે ભાજપે તેના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને અનુભવી ચૂંટણી સંચાલકોને મેદાનમાં ઉતાર્યા છે. સૂત્રો કહે છે કે ભાજપ દરેક જિલ્લાને તેના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને વિવિધ રાજ્યોના અનુભવી ચૂંટણી સંચાલકોને સોંપીને ગુજરાતની વિધાનસભા બેઠકોનું માઇક્રો-મેનેજ કરવા જઈ રહી છે. આ હોદ્દેદારો તેમના પ્રભારી જીલ્લામાં ભાજપની પીઠને મજબૂત કરવા માટે કામ કરશે.

આ રાજ્યોના નેતાઓને જવાબદારી મળી

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રણનીતિના ભાગરૂપે ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોના વરિષ્ઠ નેતાઓને ચૂંટણી સંચાલનની જવાબદારીઓ સોંપી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વના અન્ય ઘણા હોદ્દેદારોને પણ જવાબદારી મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સીટ મેનેજમેન્ટ માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના જે નેતાઓને મોકલવામાં આવે છે તેઓ અનુભવી ચૂંટણી સંચાલકો છે. તેમને ફાળવવામાં આવેલી બેઠકોનું મૂલ્યાંકન કરવાની અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે તેમનો પ્રતિસાદ શેર કરવાની અને સ્થાનિક નેતાઓ સાથે સંકલન કરવાની જવાબદારી આપવામાં આવી છે.

આ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. એ જ રીતે, આણંદ અને જામનગર જિલ્લાઓ પાર્ટીના અન્ય બે રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ અને તરુણ ચુગને સોંપવામાં આવ્યા છે. તેમજ મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠા બેઠકની અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સ્વતંત્ર દેવ સિંહને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. અરવિંદસિંહ ભદૌરીયા અને ઈન્દરસિંહ પરમારને અનુક્રમે ભરૂચ અને ખેડાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નેતાઓ મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી છે. તે જ સમયે, બિહારના ભાજપના નેતા નીતિન નબીનને સુરતનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યાં મોટી પરપ્રાંતીય વસ્તી છે.

રાજસ્થાન સરહદને અડીને આવેલા વિધાનસભા મતવિસ્તારો પર વિશેષ ધ્યાન

આ ઉપરાંત, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ તેના રાજસ્થાન એકમના નેતાઓને ખાસ કરીને રાજસ્થાન-ગુજરાત સરહદે આવેલા 46 વિધાનસભા મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય નારાયણ સિંહ દેવલને ગુજરાતની ચૂંટણી માટે રાજ્યમાંથી પ્રતિનિયુક્ત કરવામાં આવનાર નેતાઓના સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી આ વર્ષે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 વિધાનસભા સીટ જીતવાના કોંગ્રેસના રોકોર્ડને તોડીને એક નવો રેકોર્ડ બનાવની દિશામાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપના વિપક્ષ તરીકે કોંગ્રેસ મોટી પાર્ટી છે જો કે આ વર્ષે આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને તેમના નતાઓ તેજ ગતિથી પ્રચાર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.