જામનગરમાં જાડેજા સામે જાડેજા : જામનગર ઉત્તર બેઠક પર ભાજપમાંથી રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી બિપેન્દ્રસિંહ જાડેજા સામસામે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ચૂંટણી માટે 182 ઉમેદવારોમાંથી 160 ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે. કેટલાક ઉમેદવારોના મોડી રાત્રે જ સી.આર પાટીલે ફોન કરીને જાણ કરી દીધી હતી. આજે સવારે 10 વાગ્યે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ માધ્યમથી તેમના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી વધુ ને વધુ બેઠક મેળવવા માટે જ્ઞાતિ આધારિત ટીકીટોનું વિતરણ કર્યું છે. સૌરાષ્ટ્રમાં જામનગરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે અને તેમના પર ભરોસો મુક્યો છે. જામનગરમાં રીવાબાને ટીકીટ આપતા જ આ બેઠક પર સમીકરણો બદલી ગયા છે.

જામનગર ઉત્તર બેઠક પર હકુભા જાડેજાના સ્થાને રીવાબા જાડેજાને ટીકીટ આપી છે. જામનગરમાં ક્ષત્રિઓનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર કોંગ્રેસ દ્વારા પહેલાથી જ ક્ષત્રિયને ટીકીટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિપેન્દ્રસિંહ જાડેજાને ટીકીટ આપી છે. જામનગરની આ બેઠક પર જાડેજા સામે જાડેજાનો ખરાખરીનો જંગ જામશે. આ સીટ પર બે ક્ષત્રિઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે. જામનગર ઉત્તર બેઠક પર વર્ષ 2012માં ધર્મેદ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) કોંગ્રેસમાંથી લડ્યા હતા અને 9448 મતોના માર્જિનથી જીત મેળવી હતી. આ જ બેઠક પરથી ફરીથી 2017માં ર્મેદ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા અને 40963 મતોના માર્જિનથી જીત્યા હતા.

જામનગર ઉત્તર બેઠક પર કુલ મતદારો 2 લાખ 63 હજાર છે જેમાં 1.28 લાખ મહિલા મતદારો છે અને 1.34 પુરુષ મતદારો છે. આ બેઠક પર 49,000 મુસ્લિમ મતદારો છે. ક્ષત્રિય 31,000 મતદારો છે. એસ.સી મતદારો 26,000 છે. પાટીદાર અને બ્રાહ્મણના મતદારો 19,000 છે. 14,000 કોળી મતદારો છે જયારે સતવારા 12,000 અને 8,000 આહીર મતદારો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.