રાણાવાવ પાસે પાવ ગામની સીમમાં દીપડો ત્રાટક્યો, વાછરડાનું કર્યું મારણ

પોરબંદર જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ઓઘડભાઈ ખીસ્તરીયાએ આ અંગે જંગલખાતાના અધિકારીઓને રજૂઆત કરીને દીપડાને તાકીદે પાંજરે પૂરવા રજૂઆત કરી છે. બનાવના પગલે જંગલ ખાતાના અધિકારીઓ પણ સક્રિય થઈ ગયા છે અને દીપડાને પાંજરામાં પૂરવા કવાયત હાથ ધરી છે.

News Detail

પોરબંદરના છાયાના વાડી વિસ્તારમાં ૧૫-૨૦ દિવસ સુધી ધામા નાખીને ઘણાં પશુઓનું મારણ કરનાર દીપડો છેલ્લાં દસેક દિવસથી આ વિસ્તારમાં તો નથી ઝળક્યો, પરંતુ રાણાવાવ નજીક પાવ ગામની સીમમાં તા.૧૧ ડિસેમ્બરની રાત્રીએ એક દીપડાએ ત્રાટકીને એક વાછરડાંનું મારણ કર્યા બાદ ગઈકાલે રાત્રે પણ આ દીપડાએ વિસ્તારમાં દેખા દેતાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે.
પોરબંદર જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ઓઘડભાઈ ખીસ્તરીયાએ આ અંગે જંગલખાતાના અધિકારીઓને રજૂઆત કરીને દીપડાને તાકીદે પાંજરે પૂરવા રજૂઆત કરી છે. બનાવના પગલે જંગલ ખાતાના અધિકારીઓ પણ સક્રિય થઈ ગયા છે અને દીપડાને પાંજરામાં પૂરવા કવાયત હાથ ધરી છે.
ઘટના અંગે પ્રતાપભાઈ ખીસ્તરીયાએ જણાવ્યા મુજબ તા.૧૧ ડિસેમ્બરના રોજ રાત્રે તેઓ રાણાવાવના રેલવે ક્વાર્ટર પાસે આવેલી પાવ ગામની સીમમાં પોતાની વાડીએ હતા, ત્યારે મોડી રાત્રીના અરસામાં અચાનક જ એક દીપડો વાડીની બહાર ધસી આવ્યો હતો. વાડીની બહાર ૨૦-૨૫ જેટલાં રખડતાં ઢોર ઠંડીમાં આશરો લેવા ખાડામાં પડ્યા રહે છે. અચાનક જ આવી ચડેલા દીપડાને જોઈને પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક નાનું વાછરડું દીપડાની હડફેટે આવી ગયું હતું. દીપડાંએ વાછરડાંને મોતને ઘાટ ઉતારી દીધું હતું. જોકે, એટલાં તો પ્રતાપભાઈ ખીસ્તરીયા તથા આસપાસમાંથી અન્ય લોકો દોડી આવતાં અને હાકલાં-પડકારાં કરતાં દીપડો નાસી ગયો હતો. દરમિયાનમાં ગઈકાલે રાત્રીના પણ આ દીપડો ફરી એકવાર આ વિસ્તારમાં આવ્યો હતો અને પોતે કરેલા મારણને લઈ ગયો હતો. બીજી તરફ દીપડાના આગમનના પગલે વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે. પ્રતાપભાઈ ખીસ્તરીયાએ આ બારામાં જંગલ ખાતાને રજૂઆત કરીને દીપડાને તાકીદે પાંજરે પૂરવા માગણી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.