૧૫ જાન્યુઆરી સુધીમાં જો ટોલ ન ઘટે તો કરજણ-મુંબઈ રૃટ પર માલવહન બંધ, વાપી-ભાગવાડા ટોલબૂથ પાસે ધરણાં

કરજણ-મુંબઈ રૃટ પરના ટોલ વસૂલીમાં ચલાવવામાં આવતી લૂંટ અટકાવવાને મુદ્દે ૧૫ જાન્યુઆરી સુધીમાં સરકાર નિર્ણય નહિં લે તો ગુજરાત સહિત દેશભરના ટ્રાન્સપોર્ટર્સ તેમની ટ્રકને કરજણ-મુંબઈ રૃટ પર મોકલવાનું અટકાવી દેશે અને કરજણ – મુંબઈ રૃટ પર ટોલની રકમમાં નિયમ કરતાં ૬૦ ટકા વધુ રકમ વસૂલીને લૂંટ ચલાવવાના સરકારના વલણના વિરોધમાં આજે વાપી નજીક નાગવાડા ટોલબૂથ પાસે દેશભરમાંથી આવેલા ટ્રાન્સપોર્ટર્સે ધરણાં યોજીને આવેદન પત્ર પણ આપ્યું હતું. કેન્દ્ર સરકારે જ નક્કી કરેલા નિયમ મુજબ કરજણ મુંબી રૃટ પર રૃા.૧૧૦૦ વસૂલવાના થાય છે અને તેની સામે ટ્રકમાં માલ લઈ જનારાઓ પાસે રૃા. ૨૫૯૦ વસૂલીની લૂંટ ચલાવવામાં આવી રહી છે.

આ ધરણાંમાં ગુજરાત, દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના હજારો હોદ્દેદારોએ પણ ભાગ લીધો હતો. અમદાવાદથી મુંબઈ જતાં ધોરીમાર્ગ પર વડોદરા ભરૃચ, ભરૃચ-સુતર, બોરિયા., ભગવાડા, ચારોટી, કાણેવાડી ટોલ બૂથ પર નિયમ કરતાં ૬૦ ટકા ઊંચો ટોલ વસૂલવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ છે અને આ ધરણા સાથે જ તેમણે સરકાર તેરી તાનાશાહી નહિ ચલેગી, નહિ ચલેગીના નારા પણ લગાવ્યા હતા.

આજે વાપીમાં ધરણા યોજીને ટોલની વસૂલીમાં ચલાવાતી લૂંટનો વિરોધ કરનાર અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ મુકેશ દવેએ જણાવ્યું હતું કે કરજણ મુંબઈ રૃટ બિલ્ટ ઓપરેટ અન્ટ ટ્રાન્સફરના ટેન્ડર હેઠળ ટોલ વસૂલીની નિર્ધારિત કરેલી મર્યાદા પૂરી થઈ ગઈ છે. પૂર્ણય ટોલ વસૂલવાની મુદત પૂરી થઈ ગયા પછી નક્કી કરેલી ટોલની રકમના માત્ર ૪૦ ટકા જ ટોલ વસૂલવાનો નિયમ છે. છતાં આજે એક વર્ષથી સંપૂર્ણટોલ વસૂલવામાં આવી રહ્યો છે અને તેથી ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય વાહન ચાલકોએ મળીને મહિને રૃા.૨૦ કરોડ વધુ ટોલ ટેક્સ અને વરસે રૃા. ૨૫૦ કરોડ જેટલો વધુ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે.

આજે ટ્રાન્સપોર્ટર્સ ધરણાં ન કરી શકે તે માટે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ સહિત ૫૦થી ૬૦ જેટલા પોલીસનો કાફલો ટોલ બૂથ પાસે ગોઠવી દેવાયો હતો. પરિણામે ટ્રાફિકને અસર ન થાય અને ટ્રાફિક જામ વધુ ન થાય તે રીતે ધરણાં યોજવામાં આવ્યા હતા. બીજું, વાપી સિટી તરફ જવાનો બ્રિજની મરામત કરવા માટે આજથી જ બે વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાથી પણ આ ટોલબૂથ પાસે ટ્રાફિસ જામની સમસ્યા નડી હતી અને તેમ છતાં ટ્રાન્સપોર્ટર્સે પોલીસ સાથેની સમજાવટમાં શાંતિથી સવારે ૧૦.૩૦ વાગ્યે તેમના ધરણાં યોજ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.