શ્રીલંકા સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થયો બહાર!

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે શ્રીલંકા સામેની ODI સીરીઝનો ભાગ નહીં હોય અને ભારતને 10 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ODI શ્રેણી રમવાની છે, તેના પહેલા જ આ મોટો ઝટકો લાગ્યો છે.

શ્રીલંકા સામેની ODI સિરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજા બાદ વાપસી કરી રહેલો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે આ ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને જસપ્રીત બુમરાહને અગાઉ આ શ્રેણીનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોંચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીએ પ્રથમ ODI રમવાની છે. BCCI દ્વારા 3 જાન્યુઆરીએ ODI ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન એવું લાગ્યું કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.

પરંતુ ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI કોઈ જોખમ લેવા માંગતું નથી. આ જ કારણ છે કે જસપ્રીત બુમરાહને છેલ્લી ક્ષણે શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને જેથી કોઈ ઉતાવળ ન થાય અને તેને પરત ફરવા માટે પૂરો સમય મળે.

જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દૂર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી રમાઈ હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભાગ લીધો હતો અને જે બાદ તે ઈજાના કારણે ટીમની બહાર રહ્યો, જસપ્રીત બુમરાહે એશિયા કપ, T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લીધો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.