આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરમાં ભક્તો માટે ઉભી કરાઈ ખાસ સુવિધા..

સોમનાથમાં શ્રાવણ 2024 ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ, સોમનાથ તીર્થ છે તૈયાર ઉજવવા શ્રાવણનો તેહવાર, ટ્રસ્ટની ઉત્તમ વ્યવસ્થાઓ ભક્તોને આપશે સંતોષ અપાર, યાત્રીઓની સેવામાટે સોમનાથ ટ્રસ્ટ હરહંમેશ તૈયાર, 5 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી સોમનાથ ગુંજશે હર હર ભોલે જય સોમનાથના નાદથી…

Somnath Temple : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શોવોત્સવનો પ્રારંભ તા.05/08/2024 સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસ ના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

યાત્રીઓની વધતી સંખ્યા માટે વિશેષ વ્યવસ્થાપન:

પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ દરવર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.

સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન :

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial ટ્વીટર @Somnath_Temple યુટ્યુબ SomnathTemple-Official Channel ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial વોટ્સએપ ચેનલ somnath temple offical તથા ટેલીગ્રામમાં 9726001008 અને ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાપન:

શ્રાવણ માસ દરમીયાન લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે, દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહિં, યાત્રિઓ ને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના અપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા થોડા અંતરે આર.ઓ પ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષથી યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં ક્ષમતા બમણી કરીને યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રીઓની સુરક્ષા અને સલામતીને મહત્વ

શ્રી સોમનાથ મંદિરમાં ફાયરસપ્રેશન સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલી એડવાન્સ ફાયર રજીસ્ટન્સ સિસ્ટમ લગાવવામાં આવેલ છે, વધુમાં મંદિરમાં ખૂણે ખૂણે અગ્નિશામક લગાવવામાં આવ્યા છે. મંદિરના પ્રત્યેક કર્મચારીને અગ્નિશામક ની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર ભક્તોને કોઈ ઈજા થાય તો ટેમ્પલ ઓફિસ/પી.આર.ઓ ઓફિસ ખાતે ફર્સ્ટ એડ કીટ અને પ્રશિક્ષણ પામેલ સ્ટાફ રાખવામાં આવેલ છે. ભક્તના સ્વાસ્થયને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા માટે તમામ કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.

તીર્થના અન્ય ધર્મસ્થાનો પર તૈયારીઓ:

શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર , શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે.

શ્રાવણ દરમિયાન વિશેષ શ્રૃંગાર અને શૃંગાર પૂજન નો અવસર:

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, સહિતના 30 દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશી આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શૃંગાર નોંધાવનાર દરેક ભક્તને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લીમેન્ટરી સ્વરૂપે સોમેશ્વર મહાપૂજા પણ કરાવવામાં આવશે. મંદિરના પૂજા વિધિ કાઉન્ટર પર ઈચ્છુક ભક્ત શૃંગાર ન્યોછાવર કરી શકશે.

એકમાર્ગીય રસ્તો:

શ્રાવણ માસ દરમ્યાન ગુરૂકુળ શંખ સર્કલ થી શ્રી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. પાર્કિંગમાં પ્રવેશ કર્યા બાદ વાહનો પાર્કિંગના નિકાસ દ્વારથી રામ મંદિર થી હાઇવે ને જોડતા માર્ગ પર નિકાસ કરી શકશે. યાત્રીકોની સંખ્યાને ધ્યાનમાં રાખી ટુવ્હિલર પાર્કિંગ સહિત પાર્કિંગ સુવિધા માં પણ વધારો કરવામાં આવેલ છે.

સ્વચ્છતા ને પ્રાથમિકતા:             

સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો:

શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન.સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઇ ના માર્ગદર્શન નીચે સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.